મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની ચીરવિદાયથી
આઘ્યાત્મિક કવિની સૌંદર્યાભિમુખ કવિતાનો યુગ આથમી ગયો
અમદાવાદ, રવિવાર, 03.01.2010.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને ભારતીય સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રાજેન્દ્ર શાહનું ગઇકાલે રાતે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ ૯૭ વર્ષના હતા. તેઓના અવસાનથી ગુજરાત, ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આઘ્યાત્મિક કવિ ગૂમાવ્યા છે.
જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત અનુગાંધીયુગનાકવિનું મુંબઇમાં ૯૭ વર્ષની વયે અવસાન
૧૯૧૩ની ૨૮મી જાન્યુઆરીએ ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મેલા રાજેન્દ્રભાઇ પિતા કેશવલાલ અને લલિતાબહેનનું એક માત્ર સંતાન હતા. બે વર્ષની નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પછી યુવાન વિધવા માતાએ વિષમ સંજોગોમાં તેમને ઉછેર્યા હતા, સ્વમાન અને સંસ્કારનું સિંચન કરેલું.
પ્રાથમિક, માઘ્યમિક શિક્ષણ કપડવંજમાં મેળવ્યું હતું. સાથોસાથ અંબુભાઇ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિમાં પણ રસ લીધેલો. ઇ.સ. ૧૯૩૦માં અસહકાર આંદોલનમાં જોડાયા ત્યારે માત્ર ૧૭ વર્ષના હતા અને મેટ્રિકની પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું હતું. સાડાત્રણ માસની આકરી સજા સાબરમતી અને યરવડાની જેલમાં ગુજારેલી.
૧૯૩૨માં મેટ્રિક પાસ કરી રાજેન્દ્રભાઇ મુંબઇની વિલ્સન કોલેજમાં અભ્યાસાર્થે ગયા હતા પરંતુ તબિયતે સાથ ન આપતા વતન પાછા ફર્યા હતા. ૧૯૩૪માં વડોદરા જઇ અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૩૭માં તત્વજ્ઞાનના (ફિલોસોફી) વિષય સાથે બી.એ. થયા હતા.
એમ.એ.નો અભ્યાસ કરવા અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. આર્થિક ઉપાર્જન માટે ઢાલગરવાડ પાસેની શાળામાં નોકરી કરી હતી. એ પછી જાણીતી મહિલા સંસ્થા ‘જ્યોતિસંઘ’માં પણ ૧૯૪૨ સુધી કામ કરેલું. જો કે એમ.એ.નો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા.
દરમિયાન ૧૯૩૧ મંજુલાબહેન આગ્રાવાલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પરિવારમાં છ સંતાનો (ત્રણ દિકરા, ત્રણ દીકરી) પૈકીના સૌથી મોટા પિનાકીનભાઇ જોડે પાછલાં વર્ષોમાં મુંબઇ છોડીને આવ્યા ત્યારથી અમદાવાદમાં રહેતા હતા.
૧૯૪૨ સુધી ‘જ્યોતિસંઘ’માં કામ કર્યા પછી અમદાવાદમાં જ ‘ગૃહસાધન’ નામે મોદીખાનાની- કરિયાણાની દુકાન શરૂ કરેલી ૧૯૪૫માં મુંબઇ ગયા. જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાક્ટ લેતી આર. જે. શાહ એન્ડ કંપનીમાં ૧૯૫૧ સુધી નોકરી કરી. ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન કાગળનો વ્યાપાર કર્યો. તે પછી ૧૯૫૫માં ‘લિપીની પ્રિન્ટરી’ નામક પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો હતો.
૧૯૭૦માં પ્રિન્ટીંગ પ્રેસ પુત્ર કૈવલ્યને સોંપી તેઓ વતનમાં પાછા આવ્યા હતા. ત્યારપછી નિવૃત્ત જીવન ગુજારતા હતા. જો કે એમની સાહિત્ય પ્રવૃત્તિ તો જળવાઇ જ રહી હતી. ૧૯૯૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા. પછીથી મોટે ભાગે અમદાવાદમાં જ રહ્યા હતા.
૨૦૦૪માં, ભારતીય સાહિત્યના નોબેલ પુરસ્કાર મનતા ‘જ્ઞાનપીઠ’ એવોર્ડથી સન્માનિત એવા રાજેન્દ્રભાઇને પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર ૧૯૪૭માં ‘કુમારચન્દ્રક’ રૂપે મળ્યો હતો. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરનારા આ આઘ્યાત્મિક કવિની ઝોળીમાં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક (૧૯૫૬) સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૬૪) નર્મદ ચન્દ્રક (૧૯૭૭) અરવિંદો સુવર્ણ ચન્દ્રક (૧૯૮૦) ભારતીય ભાષા પરિષદનો એવોર્ડ (૧૯૮૫) ધનજી કાનજી સુવર્ણચન્દ્રક (૧૯૮૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન (૧૯૯૩) અને નરસિંહ મહેતા એવોર્ડ પડી ચૂક્યા હતા.
રાજેન્દ્ર શાહની ૭ દાયકાની કાવ્યયાત્રાઃ ‘ઘ્વનિ’થી ‘પ્રેમનો પર્યાય’
મૌલિક કાવ્યસર્જન ઉપરાંત અનેક ઉત્તમ અનુવાદો પણ એમણે આપ્યા છે
કવિ રાજેન્દ્ર શાહની કવિતાયાત્રા સાત દાયકાથી પણ વઘુ ચાલી છે. કાળના વિશાળ પટ પર વિસ્તરેલી એમની શબ્દયાત્રામાંથી જે કાવ્યસગ્રહો- ગીત સંગ્રહો ગુજરાતી ભાષાને મળ્યા તેની યાદી ‘ઘ્વનિ’(૧૯૫૧)થી ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) સુધીની છે જે આ મુજબ છે.
ઘ્વનિ (૧૯૫૧)
આંદોલન (૧૯૫૧-૫૨)
શ્રુતિ (૧૯૫૭)
મોરપિંછ (બાળ કાવ્યસંગ્રહ) (૧૯૬૦)
શાંત કોલાહલ (૧૯૬૨)
ચિત્રણા (૧૯૬૭)
ક્ષણ જે ચિરંતન (૧૯૬૮)
વિષાદને સાદ (૧૯૬૮)
મઘ્યમા (૧૯૭૭)
આંદોલન (ગીતસંગ્રહ) ૧૯૭૮
ઉદ્ગીત (૧૯૭૯)
ઇક્ષણા (૧૯૭૯)
પત્રલેખા (૧૯૮૧)
પ્રસંગ સપ્તક (૧૯૮૨)
પંચપર્વા (૧૯૮૩)
કિંજલ્કિની (૧૯૮૩)
વિભાવન (૧૯૮૩)
દ્વા સુપર્ણા (૧૯૮૩)
આંબે આવ્યા મોર (બાળકાવ્ય) ૧૯૮૫
ચંદન ભીની અનામિકા (૧૯૮૭)
નીલાંજના (૧૯૮૯)
આરણ્યક (૧૯૯૨)
સ્મૃતિ સંવેદના (૧૯૯૮)
વિરહ માઘુરી (૧૯૯૯)
વ્રજ વૈકુંઠે (૨૦૦૨)
હા... હું સાક્ષી છું (૨૦૦૩)
પ્રેમનો પર્યાય (૨૦૦૪)
રાજેન્દ્રભાઇએ મૌલિક કાવ્યસર્જનો ઉપરાંત કેટલાક અનુવાદો પણ કર્યા હતા. જેમાં જયદેવ રચિત ગીત ગોવિંદ (૧૯૮૯) વિદ્યાપતિ (૧૯૮૦) જીવનાનંદદાસ (૧૯૮૫) બુદ્ધદેવ બસુ (૧૯૯૦) તૃણપર્ણ (વોલ્ટ વ્હિમટન કૃત ૧૯૯૧) કોલારિજકૃત કથાકાવ્ય ‘ધ રાઇમ ઓવ ધી એન્શન્ટ મેરિનરનો અનુવાદ ગાથા એક વૃદ્ધ નાયિકની (૧૯૯૮) રવિન્દ્રનાથ કૃત બલાકા (૧૯૯૩) ઇશાવસ્ય ઉપનિષદ (૧૯૯૫) વગેરેનો સમાવેશ થાય છે. પછીના વર્ષોમાં કાલિદાસકૃત ‘મેઘદૂત’ અને બિલ્હણકૃત ‘ચારે પંચાશિકા’ પણ પ્રગટ થયા હતા.
ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર... ઇંધણાં...!
અમદાવાદ, રવિવાર
‘ઇંધણા વીણવા ગૈતી મોરી સૈયર, ઇંધણાં વીણવા ગઈ’તી રે લોલ’ એ ગીત સાથે ટીવીના નાનકડા પડદે નવરાત્રિપર્વે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને જોઈને દર્શકો ઝૂમી ઉઠે કે પછી આલ્બમનું ગીત સાંભળીને યુવા પેઢીના શ્રોતાઓ ડોલી ઉઠે છે. પણ યુવાપેઢીને ભાગ્યે જ ખબર હશે કે આ રઢિયાળું ગીત કવિ રાજેન્દ્ર શાહની રચના છે.
એમના પહેલા કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ (૧૯૫૧)નું આ કાવ્ય અત્યારે ૬૦ વર્ષ પછી પણ યુવાપેઢીને આકર્ષે છે. આ કાવ્યમાં બપોરની વેળા, ચૈતર મહિનાનું આભ, કોયલનો ટહૂકો, અને આવા વાતાવરણ વચ્ચે જોવાતી વાટની અનોખી વાત છે. છેલ્લે તો કવિ કહે છે કે ‘વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર, વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ...’ આ બધામાંથી એક અદ્ભૂત ચિત્ર ઊભું થાય છે અને એટલે જ આ ગીત ‘કોઈકની વાટ જોનારા’ પ્રત્યેકના દિલને ડોલાવે એવું છે.
અક્ષર દેહના સ્વામી વહેલી સવારે ચિરનિદ્રામાં
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ અતિત બન્યા
મુંબઈ, તા.૩
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, સમર્થ ગીતકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ- વિજેતા સર્જક શ્રી રાજેન્દ્ર શાહ શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ગોરેગામ (પૂર્વ)માં દિંડોશી પાસે આવેલા તેમના પુત્ર કૈવલ્યના નિવાસસ્થાને શાંતિપૂર્વક ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. તેમની ઊંમર ૯૭ વર્ષની હતી. ગઈકાલે સવારે તેમનાં સ્વજનો અને જાણીતા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં તેમના અક્ષરદેહના અંતિમસંસ્કાર કરાયા હતા.
‘કેવડિયાનો કાંટો અને ‘બોલીએ ના કંઈ જેવી લોકપ્રિય રચનાઓના સર્જકની વિદાયઃ મારું જીવનકાર્ય પૂરું થયું છેઃ કવિના અંતિમ શબ્દો
૧૯૦૩માં ગુજરાતના નડિયાદ જિલ્લામાં કપજવંજ ખાતે જન્મેલા રાજેન્દ્રભાઈએ યુવાન વયથી જ સુંદર ઊર્મિકાવ્યો લખવાની શરૂઆત કરી હતી. તેમનાં કાવ્યો ઉંડા પ્રકૃતિપ્રેમ, માનવસ્વભાવના માર્મિક નિરીક્ષણ, લયમાઘુર્ય અને નાદમાઘુર્યથી છલકાતાં હોવાથી ગાંધીયુગના તત્કાલીન કવિઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી.
૩૯ વર્ષની વય ૧૯૪૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઘ્વનિ’ પ્રગટ થતાંવેંત તેમની રચનાઓ ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો’ અને ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’ જેવાં ગીતો લોકજીભે ચડી ગયાં હતાં અને વરસો સુધી પાઠયપુસ્તકોમાં અચૂક સ્થાન પામ્યાં હતાં.
તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘શ્રુતિ’, ‘શાંત કોલાહલ’, ‘આંદોલન’નો સમાવેશ થાય છે. ૨૦૦૪માં રાજેન્દ્રભાઈને ગુજરાતી કાવ્યધારામાં અનેરા યોગદાન બદલ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લાં થોડાક વરસોથી તેઓ ગુજરાતી ડિકશનેરીના કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. બેએક દિવસ પહેલાં તેમને થોડીક અસ્વસ્થતા જણાતાં હોસ્પિટલમાં સારવાર લેવાનું તેમના પુત્ર કૈવલ્યે કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે. છતાં ગઈકાલે ડોક્ટરે તેમને કહ્યું કે તમને સારવાર આપીને આવતીકાલે તાજામાજા કરી દઈશું ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું હતું કે ‘પણ આવતીકાલે હું હોઈશ તોને?’ આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.’
રાજેન્દ્રભાઈના પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રઘ્વજને છાતીએ ચાંપી ટાવર પરથી ભૂસકો મારેલો!
અમદાવાદ, રવિવાર
મેટ્રિકની પરીક્ષા ન આપીને આઝાદીની લડાઈ અંતર્ગત અસહકારના આંદોલનમાં જોડાયેલા રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના ક્ષેત્રે જેમ ટોચ પર બિરાજતા હતા તેમ એમના રાષ્ટ્રપ્રેમ પણ ટોચનો હતો.
૧૯૩૦માં ત્રણ મહિનાની આકરી સજા અમદાવાદ અને યરવડાની જેલમાં ભોગવી પછી વતન કપડવંજમાં પાછા ફર્યા હતા. એ પછીના એક દિવસે કપડવંજના ટાવર પર રાષ્ટ્રઘ્વજ ફરક્યો હતો. એને ઉતારવા પોલીસ પ્રયાસ કરી રહી છે તેવું રાજેન્દ્રભાઈના ઘ્યાનમાં આવ્યું. એ સાથે જ આ તરવરિયા યુવાન સડસડાટ ટાવર પર ચડી ગયા. કોઈ કશું વિચારે એ પહેલાં જ રાષ્ટ્રઘ્વજને છાતી સરસો ચાંપી લઈ ઊંચા ટાવર પરથી સીધો ભૂસકો લગાવ્યો હતો! એટલી ઊંચાઈએથી પટકાયા પછી ઘ્વજને નહીં છોડનારા રાજેન્દ્રભાઈને પોલીસે પણ ઢોર માર માર્યો હતો. એના કારણે એમને લાંબી માંદગી પણ ભોગવવી પડી હતી.
1 comment:
આપનો બ્લોગ ખુબ સરસ છે .તમે પ્રગતી કરો.એવી શુંભભેચ્છા
લી .ઘનશ્યામ રણ ,આમોદ
Post a Comment