આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, July 31, 2009

બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે






ન્યુઝ ફોક્સ

બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે

યુરોપના નાના દુકાનદારો અને ગ્રાહકો શોપિંગ મોલના કલ્ચરનો મુકાબલો કરવા સંગઠિત થયા છે

ભારતમાં કેન્દ્ર સરકારની મલ્ટીનેશનલ કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતિના પાપે શોપિંગ મોલ્સનું કલ્ચર ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે અત્યારે તો રિટેઇલ વેપારના ક્ષેત્રમાં સિંગલ બ્રાન્ડ મલ્ટીનેશનલ કંપનીઓને જ ૨૬ ટકા સુધીની ભાગીદારી કરીને ભારતમાં પોતાની દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં આપણી કહેવાતી સરકાર તમામ મલ્ટીનેશનલ કંપનીઓને ભારતમાં રિટેઇલના વેપારમાં પગદંડો જમાવવાની છૂટ આપી દેશે તે નક્કી છે. અત્યારે બિગબાઝાર અને અદાણી જેવીકંપનીઓ સુપરમાર્કેટો ઊભી કરી રહી છે તે તો હકીકતમાં વોલ-માર્ટ અને ટેસ્કો જેવી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ગ્રાઉન્ડ સાફ કરવાની ભૂમિકા ભજવી રહી છે.


રિટેઇલના ક્ષેત્રમાં જો ડાયરેકટ મલ્ટીનેશનલ કંપનીઓ મેદાનમાં આવી જાય તો તેમણે પ્રજાના અને છૂટક દુકાનદારોના ભારે રોષનો સામનો કરવો પડે. તેને બદલે આ કામ જો ભારતીય કંપનીઓ કરે તો એટલો વિરોધ ન થાય. અત્યારે પણ રિલાયન્સ અને ભારતી ટેલિકોમ જેવી કંપનીઓ મોટા પાયે રિટેઈલના ધંધામાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહી છે. તેની પાછળ પણ હકીકતમાં વોલ-માર્ટ વિગેરે મલ્ટીનેશનલ કંપનીઓનું પીઠબળ જ કામ કરી રહ્યું છે. હકીકતમાં મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય કંપનીઓને આગળ કરીને આપણી પ્રજામાં પગપેસારો કરી રહી છે. સાથે સાથે તેઓ પ્રધાનોના એન સરકારી અધિકારીઓના સ્તરે પણ ધૂસણખોરી કરીને પોતાને અનુકુળ આવે તે રીતે સરકારી નીતિઓમાં ફેરફારો કરાવી રહી છે. સ્વદેશી કંપનીઓ જેવી રિટેઇલના ધંધામાં સ્થિર થશે કે તરત જ આ મલ્ટીનેશનલ કંપનીઓ પહેલા તેમના પાર્ટનર તરીકે ગોઠવાઈ જશે અને પછી ટૂંક સમયમાં પોતે જ આલિશાન શોપિંગ મોલ્સના માલિક બની જશે.

બ્રિટનમાં આજે અનાજ અને કરિયાણાંનો ૭૫ ટકા જેટલો છૂટક વેપાર માત્ર ચાર જકંપનીઓના હાથમાં કેન્દ્રિત થયેલો છે, જેમાં પણ ટેસ્કો કંપની મોખરે છે. બ્રિટનના લાખો ખેડૂતો અને ખોરાક-ઉત્પાદકો જે માલનું ઉત્પાદન કરે છે એ તેમણે આ ચારમાંથી એક કંપનીને જ વેચવો પડે છે. આ બધા માલના ઉત્પાદન, પ્રોસેસિંગ, વિતરણ અને વેચાણ ઉપર આ ચાર જ કંપનીઓનો કાબૂ છે. બ્રિટનના ૯૦ ટકા નાગરિકોએ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આ ચાર કંપનીઓ અને તેમની નીતિરીતિઓ ઉપર આધાર રાખવો પડે છે. શું આ રીતે છૂટક વેપાર સંગઠિત થવાને કારણે અને તેના ઉપર ચાર જ કંપનીઓનો ઇજારો સ્થપાવાને કારણે વપરાશકારો, નાના વેપારીઓ અને બ્રિટનની જનતા સંતુષ્ટ છે ? ના ! આ કારણે જ બ્રિટનમાં સુપરસ્ટોર્સ સામે આંદોલન શરૂ થયું છે.

ઇ.સ. ૧૯૭૨માં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓની હકાલપટ્ટી કરી તે પછી આવા હજારો પરિવારો ભાગીને બ્રિટનમાં સ્થાયી થયા હતા અને તેમણે ઠેકઠેકાણે અનાજ, કરિયાણું, કટલરી, સ્ટેશનરી, ક્રોકરી, દવાઓ, પુસ્તકો, કોન્ફેક્ષનરી વિગેરેની દુકાનો શરૂ કરી હતી. પોતાના મહેનતુ સ્વભાવ, ઇમાનદારી અને વ્યક્તિગત ઉષ્માભર્યા સંબંધોના કારણે તેમણે બ્રિટીશરોનાં દિલ જીતી લીધાં હતાં.

બ્રિટનમાં આશરે ૩૦ વર્ષ અગાઉ સુપરસ્ટોર્સનો મેનિયા શરૂ થયો હતો. ગુજરાતી અને રાજસ્થાની દુકાનદારો ૨૪ કલાક પોતાની દુકાનો ચાલુ રાખીને ગ્રાહકોને સેવાઓ આપતા હતા. ટેસ્કો જેવી કંપનીઓએ પણ તેમની નકલ કરીને પોતાની સુપરબજારો ૨૪ કલાક ખુલ્લી રાખવા માંડી. આ જાયન્ટ કંપનીઓ પાસે જે મૂડીરોકાણ, મેનપાવર, નેટવર્ક અને સરકારી સંપર્કો હતા તેનો ભારતીય દુકાનદારો પાસે અભાવ હતો. આ રીતે ભારતીય દુકાનદારો સ્પર્ધામાં પાછળ પડતા ગયા. આ સુપરમાર્કેટોની નીતિ બહુ સ્પષ્ટ હોય છે કે તેઓ ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલ ખૂબ સસ્તી કિંમતે ખરીદે છે અને ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપે છે. આ ડિસ્કાઉન્ટના લોભમાં ગ્રાહકો નાના દુકાનદારોને પડતાં મૂકીને સુપરમાર્કેટોમાં દોડે છે અને ઘૂમ ખરીદી કરે છે. આ રીતે ધંધાનું ટર્નઓવર વધી જતાં સુપરમાર્કેટના સંચાલકો ઉત્પાદકને વઘુ ને વઘુ દબાવે છે અને તેની પાસેથી વઘુમાં વઘુ સસ્તામાં માલ પડાવવાની કોશિષ કરે છે.

અમેરિકામાં વોલ-માર્ટ કંપનીની આ નીતિને કારણે અનેક ઉત્પાદકો પાયમાલ થઇ ગયા છે અને અનેકોને આપઘાત કરવાની ફરજ પડી છે. વળી વોલ-માર્ટ કંપની ઉપર તેના કર્મચારીઓનું શોષણ કરવા માટેના હજારો કેસો થયા છે. વોલ-માર્ટ કંપની દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ બાબતમાં એક ફિલ્મ પણ બની છે, જેનું નામ ‘ધ હાઈ કોસ્ટ ઓફ લો પ્રાઇસ’ એવું રાખવામાં આવ્યું છે. અમેરિકનોને વોલ-માર્ટના સસ્તા ભાવ ખૂબ મોંઘા પડે છે. હકીકતમાં અમેરિકામાં વધી રહેલી બેકારી માટે વોલ-માર્ટ કંપની પણ જવાબદાર છે. અમેરિકામાં મજૂરી ખૂબ મોંઘી હોવાથી વોલ-માર્ટ કંપની પોતાના માલનું ઉત્પાદન ચીન, ભારત અને બાંગલા દેશ જેવા ગરીબ દેશોમાં કરાવે છે, જેને કારણે હજારો અમેરિકનો બેકાર બને છે. આ કારણે હવે અમેરિકામાં પણ વોલ-માર્ટ કંપનીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

બ્રિટનના વપરાશકારો તરફથી જ હવે ટેસ્કો જેવી કંપનીઓનો વિરોધ થઇ રહ્યો છે. તેનું કારણ એ છેકે સ્થાનિક દુકાનો બંધ થયા પછી આ સુપરમાર્કેટો ગ્રાહકોનું પણ શોષણ કરી રહી છે. વળી તેઓ સ્થાનિક જરૂરિયાત મુજબ માલ રાખવામાં અને વ્યક્તિગત સેવાઓ આપવામાં સમજતા જ નથી. આ કારણે તેમના પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે. લંડનના એક વિસ્તારમાં તો ‘સ્ટારબક’ નામની સુપરમાર્કેટ સામે રીતસરનું આંદોલન જ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને પોતાની દુકાન બંધ કરવામાં ફરજ પાડવામાં આવી હતી. અત્યારે બ્રિટનમાં ૨૦૦ સ્થળોએ સુપરમાર્કેટોને બંધ કરાવવા આ રીતે આંદોલનો ચાલી રહ્યાં છે.

રિટેઇલિંગનો ધંધો કરતી મલ્ટીનેશનલ કંપીઓને યુરોપ અને અમેરિકા ઉપર પોતાનો પગદંડો જમાવી દીધા પછી હવે પોતાની નજર આફ્રિકા અને એશિયાખંડ ઉપર કેન્દ્રિત કરી છે. થાઈલેન્ડમાં બ્રિટનની ટેસ્કો કંપનીએ ૧૧૨ સુપરમાર્કેટો ખોલી કાઢી છે, જે ‘ટેસ્કો લોટસ’ તરીકે ઓળખાય છે. શાંગહાઈ જેવાં શહેરોમાં ટેસ્કો કંપનીએ ૧૪ સુપર માર્કેટો ખોલી કાઢી છે. હવે તેઓ ભારતના દરવાજા ખટખટાવી રહ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓના ભારે દબાણ હેઠળ કેન્દ્ર સરકારે રિટેઇલિંગના ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણને સૈઘ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. લાખો નાના દુકાનદારો પાસેથી ફંડફાળો એકઠો કરીને ચૂંટણી લડનારા અને જીતનારા આપણા સંસદસભ્યો લોકસભામાં ગયેલા વેપારીઓ એવું માનીને બેઠા છે કે આ મોટી કંપનીઓની સામે બાથ ભીડી શકાય જ નહીં પણ બ્રિટનનો અનુભવ સૂચવે છે કે જો પ્રજાના વિરાટ બળને જાગૃત કરવામાં આવે તો ગમે તેવી વિરાટ અને રાક્ષસી કંપનીએ પણ પીછેહઠ કરવી પડે છે. તે માટે પ્રજા સુધી સાચી માહિતી પહોંચે તે ખૂબ જરૂરી છે.

એક વખત એવું માનવામાં આવી રહ્યું હતું કે ફાસ્ટ ફૂડ વેચીને કરોડો લોકોના આરોગ્યની ખાનાખરાબી કરનારી મેકડોનાલ્ડસ કંપનીની આગેકૂચને કોઈ રોકી શકેતેમ નથી. એક સમય એવો હતો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં દરરજો મેકડોનાલ્ડસની ચાર નવી શાખાઓ ખૂલતી હતી. તેમાં ‘સુપર સાઇઝ’ની નામની ફિલ્મે અને ‘ફાસ્ટ ફૂડ નેશન’ નામના પુસ્તકે મેકડોનાલ્ડસ સામે વિરોધનો એવો ઝંઝાવાત પેદા કર્યો છે કે આજે મેકડોનાલ્ડસના નફાનું માર્જિન સતત ઘટી રહ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે મેકડોનાલ્ડસને તેની ૨૫ રેસ્ટોરાંઓ ખોટ ખાતી હોવાથી બંધ કરવાની ફરજ પડી છે.

તાજેતરમાં બ્રિટનમાં એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ૧૩થી ૧૫ વર્ષની વયજૂથના માત્ર એક ટકા કિશોર-કિશોરીઓએ એવું કહ્યું હતું કે તેમનું ફેવરિટ ભોજન મેકડોનાલ્ડસની ડીશ છે. અગાઉ સાત ટકા ટીનએજરો આવી માન્યતા ધરાવતા હતા. પ્રસાર માઘ્યમો જો પોતાની ફરજ બરાબર બજાવે અને આવી કંપનીઓની અસલિયત પ્રજાની સામે લાવે તો ચોક્કસ પ્રજા પોતાની આદતો બદલવા તૈયાર હોય છે. તેનું જ્વલંત ઉદાહરણ કોક અને પેપ્સી જેવી કંપનીઓનાં ઝેરી પીણાંઓના વેચાણમાં સતત થઇ રહેલો ઘટાડો છે.

ભારતમાં પણ એક સમયે એવું માનવામાં આવતુંહતું કે કોકાકોલા અને પેપ્સીના સામ્રાજ્યને કોઈ પડકારી શકે નહીં. દિલ્હીની સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એનવાયર્નમેન્ટ નામની સંસ્થાના હેવાલને પગલે આ કંપનીઓને અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. તાજેતરમાં આ કંપનીઓએ બહાર પાડેલા વેચાણના આંકડાઓ મુજબ ગયાં વર્ષે આ કંપનીઓના વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. આપણી પ્રજા કોક અને પેપ્સીને બદલે લસ્સી અને લીંબુ પાણી પીતી થઇ ગઇ છે.

તાજેતરમાં રામદેવ સ્વામીજીએ પણ કોક અને પેપ્સી જેવાં હાનિકારક પીણાંઓ સામે વૈચારિક ઝુંબેશ ચલાવી છે, તેને કારણે આ પીણાંઓના વેચાણ ઉપર વઘુ ફટકો પડ્યો છે.

આ અસર નાબૂદ કરવા આ કંપનીઓને પોતાના જાહેરખબરના બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરવાની ફરજ પડી છે. હજી પણ સચીન તેન્ડુલકર જેવા ક્રિકેટરો અને શાહરૂખખાન જેવા ફિલ્મસ્ટારો કરોડો રૂપિયાના મોહમાં આ હાનિકારક પીણાંઓની જાહેરખબરોમાં ચમકી યુવા પેઢીને ગુમરાહ બનાવવાનું બંધ કરે તો આ કંપનીઓને ભારતમાંથી ઉચાળા ભરવાની ફરજ પડે તે નક્કી છે.

Sunday, July 19, 2009

પહેલું સુખ તે સારું ભણ્યા









પહેલું સુખ તે સારું ભણ્યા

Gunvant Shah
Sunday, July 19, 2009 19:58 [IST]
જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી.

શિક્ષણ વધે તો ગરીબી ઘટે. શિક્ષણ વધે તો રોગ, અંધશ્રદ્ધા, છેતરપિંડી, રુશવતખોરી, દહેજ, ગુનાખોરી અને મારામારી ઘટે. શિક્ષણ વધે તો હુલ્લડ ન થાય, બ્લેકમેઇલ ન થાય અને આપઘાત ટળે.

શિક્ષણ મોઘું નથી પડતું, અજ્ઞાન મોઘું પડે છે. શિક્ષણ જાદુની લાકડી છે કે? હા, પણ એક શરત છે. શિક્ષણ ‘સારું’ હોવું જોઇએ. બાખડી ભેંસ પણ જીવે છે અને માણસ પણ જીવે છે, પરંતુ બંનેના જીવનમાં જે તફાવત પડી જાય તેનો જશ સારા શિક્ષણને ફાળે જાય છે. સુશિક્ષણમ્ દ્વારા સુજીવનમ્ અને સુજીવનમ્ને કારણે જ સુરાષ્ટ્રમ્! (યાદ રહે કે ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂળે ‘સુરાષ્ટ્ર’ પરથી આવેલો છે.) આપણું કોણ સાંભળે? બાકી એકવીસમી સદીના નવા ધર્મનું નામ ‘શિક્ષણ’ છે.

ભાર વગરનું ભણતર! વાહ ભાઇ વાહ. ભાર શેનો રહે છે? જરા સોચો. ભારનું ખરું કારણ ભણતર નથી. ‘ઢ’ વિધાર્થી કદી પણ ભાર રાખતો નથી. ભારનું કારણ પરીક્ષા પણ નથી. પ્રત્યેક પરિવારમાં ભણતા કોઇ સંતાનનું પરિણામ આવે ત્યારે એના ટકા ઓછા હોય તો એની અખંડસૌભાગ્યવતી માતા, માસી, મામી, કાકી, ફોઇ, ભાભી, દાદી અને તેમના મૂર્ખ પતિદેવો જે ચર્ચા કરીને બાળકને પીંખે તેને કારણે ભાર (સ્ટ્રેસ) રહે છે.

આ બાળક ‘જેકપોટ’ બની રહે છે. કપિલ સબ્બિલ જેવા તેજસ્વી અને ઓજસ્વી માણસને માનવીય સંસાધન વિકાસનું ખાતું સોંપવામાં વડાપ્રધાને ભારે શાણપણ બતાવ્યું છે. અંદરની હકીકત એ છે કે કપિલજીને ડો.યશપાલ જેવા સમર્થ સલાહકાર મળ્યા છે. ડો.યશપાલ સાથે તીનમૂર્તિ ખાતે દિલ્હીમાં પૂરા ચાર દિવસ એક સેમિનારમાં જોડાવાનું બનેલું. તેઓ વિજ્ઞાની છે, રેશનલિસ્ટ છે અને વળી શિક્ષણમાં ભારતીય સંસ્કતિની સુગંધ જળવાય તેનો આગ્રહ રાખનારા છે. જે ફેરફારો સૂચવાયા છે તેમાં શુભ ઇરાદા અંગે શંકા રાખવા જેવું નથી. આ કોઇ પોલિટિકલ પ્રશ્ન નથી. ગુજરાત સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું તે ગમ્યું. અભિપ્રાય ભેદ કયાંય હોય તોય સહકાર ત્યજવામાં શાણપણ નથી. ભૂલ થશે તો સુધરશે. શિક્ષણ માટે થતો કોઇ પણ ખર્ચ વધારે ન ગણાવો જોઇએ. એ તો માનવીમાં થતું ઇન્વેસ્ટમેન્ટ છે.

શિક્ષણ વર્ગમાં પણ થાય અને વર્ગની બહાર પણ ચાલતું હોય છે. એક આધારહીન વાત કરું? આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં દુર્યોધનને હાઇ બ્લડપ્રેશર રહેતું, પરંતુ એને લોહીનું દબાણ એટલે શું તેની ખબર જ ન હતી. તમે માનશો? ભીમને મલેરિયાને કારણે ટાઢિયો તાવ આવ્યો, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર જ ન હતી કે મરછરને કારણે ભીમને ટાઢ વાય છે. વડોદરામાં વહેલી સવારે રસ્તાની બાજુએ પંચમહાલથી આવેલા મજૂરો (મામાઓ) મરછરદાનીમાં સહકુટુંબ સૂતેલા હોય છે. શિક્ષણનો અનુબંધ પ્રકાશ સાથે છે. અંધારું સ્વભાવે ઠોકર ખવડાવનારું છે. પ્રકાશ થાય ત્યારે ઠોકર ગાયબ!

આપણી પરંપરામાં જ્ઞાન સાથે પ્રકાશ જોડાયો છે. ‘પ્રજજવલિતો જ્ઞાનમય પ્રદીપ:’. ભણેલી આદિવાસી કન્યાને વહેલી તકે મોબાઇલ ફોન પહોંચાડો. એના વલણમાં જે ક્રાંતિ આવશે તે જ એને શોષણમુકત કરશે. અમારા વડીલ કેળવણીકાર મુ.જે.પી.નાયક કહેતા કે ગામડાંમાં ‘કલ્ચર ઓફ સાઇલન્સ’ પ્રવર્તે છે. એ દૂર થાય તે હવે કેવળ સમયનો સવાલ છે. એ કામ કોઇ ગ્રામસેવક નહીં, પરંતુ નવી ટેકનોલોજી કરવાની છે. શિક્ષણ પહોંચે પછી સેવાની ઝાઝી જરૂર નહીં પડે.

પ્રાથમિક નિશાળના વર્ગો જયારે એરકન્ડિશન્ડ હશે ત્યારે ગરીબી ટકશે ખરી? શું આ કોઇ શેખચલ્લીનું સ્વપ્ન છે? જયારે એસી સૂર્યશકિતથી ચાલતું થશે ત્યારે એમ જ બનવાનું છે. ઊર્જાની અછત એ હવે એકાદ દાયકાનો પ્રશ્ન છે. અઢળક સૂર્યશકિતને જોતરવા માટેનાં સંશોધનો ચાલુ છે. શિયાળામાં સૂર્યદેવે ગરમ કરી રાખેલું પાણી મળતું થયું તેમ વર્ગખંડમાં ભરઉનાળે ઠંડક પહોંચવાની છે. કરછનાં ગામડાંમાં પદયાત્રા કરી ત્યારે ગામેગામ પાદર પર ભવ્ય કમાન જોવા મળતી.

સંતાનો માતપિતાની યાદમાં કમાન બંધાવીને તેના પર માતાપિતાનું નામ લખે. એ મૂર્ખજનોને કોણ કહે કે તમે તમારા પૈસા (કલાપીની ‘ગ્રામમાતા’ જેવી) નિશાળમાતાને અર્પણ કરો. નિશાળ ભવ્ય બને પછી ગામની લાઇબ્રેરીને ભવ્ય બનાવો. ‘ડિસ્કો’ શબ્દ મૂળે લેટિન શબ્દ છે, જેનો અર્થ છે : ‘હું શીખું છું.’ જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી. (વિધા ભોગકરી યશ: સુખકરી). સદીઓ વીતી પછી વીર નર્મદે એ જ વાત ફરીથી કરી અને કહ્યું :

હાંરે ભણવાથી ઘણું ઘણું જાણો
હાંરે ઉધમ અંતે યશ-સુખ માણો રે.
હાંરે નવાં મંદિરનું માન વધારો
હાંરે હોંસે હોંસે અભ્યાસ કરો સારો રે
ભણો ભણો રે ભણો ભણો!


ડો.યશપાલ નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (ટઊઈ)ના ચાર મુખ્ય સૂત્રો ગણાવે છે : (૧) ગોખણપટ્ટી નહીં સમજણ મહત્ત્વની છે. (૨) શિક્ષણ આસપાસની દુનિયા સાથે જોડાયેલું હોવું જોઇએ. (૩) પ્રત્યેક બાળક પોતાનું ભણતર સરજે છે, એ પૂરું પાડવાનું નથી. (૪) બાળકો પરનો બોજો ભણતરને હાનિ પહોંચાડે છે. ડૉ.યશપાલ સાચું કહે છે : ‘ઉચ્ચ શિક્ષણ પૈસા રળનારી ફેકટરી બની ગયું છે અને એંજિનિયિંરગ તથા મેનેજમેન્ટનું શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા વધી છે, પરંતુ ગુણવત્તા વધી નથી.’ નિદાન સાવ સાચું છે, હવે કપિલ સબ્બિલે ઉપચાર પર ઘ્યાન આપવું જોઇએ. શ્રદ્ધા છોડવા જેવી નથી.

ઉચ્ચ શિક્ષણનો સંબંધ ‘પરસ્યૂટ ઑફ એકસેલન્સ’ સાથે રહેલો છે. કાકાસાહેબ કાલેલકરે વર્ષોપહેલાં કુલપતિ ઈશ્વરભાઇ પટેલને ‘એકસેલન્સ’ માટે ‘પારમિતા’ જેવો પર્યાય સૂચવ્યો હતો. જો પારમિતાની આરાધના ન થાય તો દેશ પાછળ રહી જાય. ભાર રાખ્યા વિના ભણી ખાનારા ૧૦૦માંથી ૮૦ વિધાર્થીઓ હોય છે, પરંતુ દેશનું ભાવિ, ભાર રાખનારા ૨૦ વિધાર્થીઓ પર અવલંબે છે. અમેરિકન વિધાર્થીઓ સુખાવળા (હેડોનિસ્ટ) બનતા રહ્યા છે તેથી જ આપણે ત્યાંથી તાણ વેઠીને અમેરિકા પહોંચેલા વિધાર્થીઓ જબરી ધાડ મારે છે. સ્વાનુભવે કહું છું કે અમેરિકાનું યૌવન પતનને તળિયે પહોંરયું છે. એ હવે વધારે નીચે જઇ શકે તેમ નથી. ડ્રગ, સેકસ અને શરાબનો અતિરેક ‘કલ્ચર ઓફ વાયોલન્સ’ ને જન્મ આપે છે.

ગુજરાત સરકારે ડૉ.કિરીટ જોશી જેવા અનુભવી વહીવટકાર, ચિંતક અને વિદ્વાનની સલાહ લેવાની શરૂઆત કરી તે યોગ્ય છે. જે કામ ડૉ.યશપાલ દિલ્હીમાં કરશે તે કામ કિરીટભાઇ ગુજરાતમાં કરી શકે તેમ છે. છેલ્લાં સાત વર્ષોમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં જે ‘ઉચ્ચ કક્ષાનો’ ભ્રષ્ટાચાર પેઠો છે, તેનું વાસીદું વાળવાનું કામ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે તેવી આશા ફળી નથી. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી.’ આ વિધાનના પૂર્વાર્ધ સાથે આખું ગુજરાત સહમત છે, પરંતુ એના ઉત્તરાર્ધ સાથે સહમત થવામાં નરેન્દ્ર મોદી એકલા છે. તેઓએ હવે શિક્ષણ માટે રોજ એક કલાક જુદો ફાળવ્યો રહ્યો. પહેલું સુખ તે સારું ભણ્યા!’

પાઘડીનો વળ છેડે

‘અમે જયારે અમેરિકામાં ઊછરતાં નાનડિયાં હતાં ત્યારે અમને કહેવામાં આવતું કે ડિનર વખતે શાકભાજી છાંડવાં નહીં. માતા અમને કહેતી કે ડિનર વખતે ભારતનાં ભૂખે મરતાં બાળકોનું સ્મરણ કરવું અને ખાવાનું એઠું છોડવું નહીં. આજે હવે હું મારાં બાળકોને કહું છું : ‘તમારું લેસન પૂરું કરો. ભારતનાં બાળકોનું સ્મરણ કરો. તમે જો તમારું લેસન બરાબર નહીં કરો તો તેઓ તમને ભૂખે મારશે.’-થોમસ ફ્રીડમેન(‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પત્રકાર અને વિદેશનીતિના તજ્જ્ઞ)

Sunday, July 12, 2009

આર્ટ ઓફ લર્નિંગ







આર્ટ ઓફ લર્નિંગ

Shishir Ramawat
Tuesday, June 30, 2009
20:27 [IST]
સાભાર : અહા જિંદગી




જે શ્વાસ લે છે તે જીવિત છે અને જે શીખે છે તે જીવંત છે, માટે આજીવન જીવંત રહેવું હોય તો શીખવાની કળા શીખવી જ રહી. આ અતિઉપયોગી કળાનું એ-ટુ-ઝેડ પ્રસ્તુત છે.



લાંબોલચ બાયોડેટા ધરાવતો એક પ્રોફેશનલ કોર્પોરેટ કંપની જોઇન કરે છે. નવી ઓફિસ, નવા લોકો, નવા પરિચય. પાંત્રીસ-વર્ષનો આ યુવાન લાગે છે તો તરવરિયો, પણ પાંચ જ દિવસમાં એ ઓચિંતા કયાંક રફૂચક્કર થઇ જાય છે. કોઇને સૂચના નહીં, કોઇની પરવાનગી નહીં. પાંચમા દિવસે બપોરે એ લંચ માટે બહાર ગયો એ ગયો... પછી પાછો ફરકયો જ નહીં. પછી ન તો એણે સાદો ફોન કર્યોકે ન કોઇ ખુલાસો કર્યો.

એવું નહોતું કે એણે કશાયની ચોરી કરી હતી કે કોઇક નુકસાન કર્યું હતું. એ જોબ છોડીને જતો રહ્યો, બસ! આખરે એવું તે કયું કારણ હતું જેને લીધે એ જુવાનિયાએ આમ અચાનક અંતધાર્ન થઇ જવું પડયું? નવી ટેકનોલોજી શીખવાનો ડર! પોતાને તીસમારખા સમજતા આ પ્રોફેશનલને નવી જોબમાં નવી ટેકનોલોજી શીખવાની આવી એટલે કાંપી ઊઠયો હતો ને પછી પડકાર ઝીલી લેવાને બદલે નોકરી છોડીને નાસી ગયો હતો!

આ કહેવાતા સુશિક્ષિત યુવાનને તમે ‘અભણ’ કહી શકો, કેમ કે જાણીતા અમેરિકન વિચારક એિલ્વન ટોફલર કહે છે તેમ, એકવીસમી સદીમાં અભણ, એટલે જેને વાંચતા-લખતા આવડતું નથી એ નહીં, પણ એવી વ્યકિત જે લર્ન, રિ-લર્ન અને અન-લર્ન કરી શકતો નથી. અર્થાત્ જે માણસ નવું શીખી શકતો નથી, એક વાર શીખેલું ફરીથી શીખતો નથી અને બિનજરૂરી શીખેલું દિમાગમાંથી ભૂંસી શકતો નથી તેને આધુનિક જમાનાનો અંગૂઠાછાપ ગણવો!

‘માણસ જેટલી વધારે ખંત અને નિયમિતતાથી અભ્યાસ કરશે, એટલી ઝડપથી જે-તે વિષયના બેઝિક કન્સેપ્ટ્સ તે સમજી શકશે.’ ના, આ વાત દસમા-બારમા ધોરણના કોઇ ટયુટોરિયલમાં લખાયેલી નથી, પણ ભગવાન મનુએ હજારો વર્ષ પહેલાં ‘મનુસ્મૃતિ’માં આ પ્રમાણે કહ્યું છે! ઋગ્વેદમાં કહેવાયું છે: માણસ મનમાં એક ઘ્યેય વિચારી લે અને પછી તે દિશામાં કામ કરવા લાગે તો એ વહેલામોડું એને હાંસલ કરી જ લે છે. ઘ્યેયસિદ્ધિની આ યાત્રામાં એણે ખૂબ બધું શીખતા રહેવું પડે છે.

શીખવું એટલે માત્ર સ્કૂલ-કોલેજમાં ભણતા હોઇએ તેમ કલાસ રૂમમાં શીખવું, એમ નહીં. (બાય ધ વે, બારમું ધોરણ પાસ કરો છો ત્યાં સુધીમાં તમે સ્કૂલમાં ભણવામાં અંદાજે ૧૭,૦૦૦ કલાક ખર્ચી નાખ્યા હોય છે.) શીખવું એટલે જુદા જુદા પ્રકારની માહિતીના સમન્વય વડે નવું જ્ઞાન, વર્તણૂક, કૌશલ્યો, મૂલ્યો, પ્રાધાન્યો કે સમજણ હાંસલ કરવાં. માણસ અનાયાસે કે આયાસપૂર્વક શીખવાની પ્રક્રિયા આજીવન કરતો રહે છે.

નવજાત શિશુ પોતાના નાનકડા હાથમાં વસ્તુ પકડતા શીખે છે, થોડું મોટું થાય એટલે ભાખોડિયાંભેર ચાલતાં અને પછી બે પગે ચાલતાં શીખે છે. અૌપચારિક ભણતર પછી પણ માણસની શીખવાની પ્રક્રિયા અટકતી નથી. મૈત્રી, પ્રેમસંબંધ, સામાજિક વ્યવહારો, લગ્ન, ડિવોર્સ, નવી જોબ લેવી, પ્રમોશન લેવું, બીજા શહેરમાં રહેવા જવું, સ્વજનનું મૃત્યુ, નિવૃત્ત થવું... આ બધું જ આપણને કંઇને કંઇ શીખવતું રહે છે.

માણસના જીવનમાં જેટલી વધુ ઘટના બને એટલા શીખવાના મોકા એને વધારે મળે. સામાન્ય સંજોગોમાં પણ પુખ્ત વયના લોકો નવું નવું શીખવા પ્રેરાતા હોય છે. એનાં બે કારણો હોય છે. એક, એને નવું જ્ઞાન કે માહિતી મેળવવાની ઝંખના હોય છે અને બીજું, જે કૌશલ્યો તેની પાસે ઓલરેડી છે, તેને તે કોઇ પણ રીતે વ્યવહારમાં અપ્લાય કરવા માગતા હોય છે. નવું શીખતાં રહેવાથી માણસને આનંદ મળે છે, તે સંતોષ અનુભવે છે અને તેના આત્મસમ્માનને પણ પોષણ મળે છે.

માણસ માત્ર પોતાના અનુભવો પરથી નહીં, પણ બીજાના જીવનમાંથી પણ કશુંક શીખતો હોય છે. વિશાળ માનવસમુદાય, સમાજ કે રાષ્ટ્ર બીજા સમુદાયો, સમાજો કે રાષ્ટ્રો પાસેથી શીખતા હોય છે. આપણી ખુદની સંસ્કòતિ, પરંપરા અને ઇતિહાસબોધ આપણને ઘણું શીખવી દે છે. માણસ મૂળે કુતૂહલપ્રિય જીવ છે. નાનપણથી તેના મનમાં જાતજાતના સવાલો ઊછળકૂદ કરતા હોય છે, જેના જવાબો મેળવવા માટે તે નવું નવું શીખતો જાય છે.

માણસની કુતૂહલવૃત્તિ વૃદ્ધાવસ્થામાં ક્રમશ મંદ ભલે પડતી જાય, પણ એ સદંતર શૂન્ય કદાચ કયારેય બનતી નથી. માત્ર માણસો કે જનાવરો જ નહીં, મશીનો પણ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થતાં હોય છે. યંત્રમાનવને કે કમ્પ્યુટરને નિશ્ચિત કામ માટે તૈયાર કરવા એનો અર્થ તેમને જે-તે ટાસ્ક શીખવવી એવો જ થયો ને!

શીખતા રહો

ધારો કે તમે લેખની શરૂઆતમાં વાત કરી એવા નહીં, પણ સારા પ્રોફેશનલ છો. તમારી કરીયર સરસ જઇ રહી છે. તમારા બોસ તમારા કામથી ખુશ છે. તમને ખુદને પણ એવું લાગે છે કે અમુકતમુક બાબતોમાં તમને હાઇ કલાસ ફાવટ આવી ગઇ છે. આ ‘હાઇ કલાસ ફાવટ’વાળી લાગણીમાં તમે સતત રમમાણ રહેતા હો તો ચેતવા જેવું છે. શકય છે કે તમારા કામમાં અચાનક એવું કશુંક ડેવલપમેન્ટ થાય કે તમારે કશુંક નવું શીખવું પડે.

તમને થાય કે ‘અરે, આ વસ્તુ તો મને અત્યાર સુધીમાં આવડી જવી જોઇતી હતી. હવે હું આ કયારે શીખવા બેસીશ? પણ જો મારે મારી કરીયરને મેન્ટેઇન કરવી હશે તો શીખ્યા વગર છૂટકો નથી.’ કોઇ પણ નવા કામને શીખવા માટેનો અભિગમ આવો તો ન જ હોવો જોઇએ. ‘આ વસ્તુ મને ઓલરેડી આવડવી જોઇતી હતી’ તેવું શું કામ માની લો છો? ના, એવું બિલકુલ જરૂરી નથી. તમે પ્રોફેશનલ લાઇફમાં આગળ વધતા જશો તેમ તેમ તમારે નવાં કામો, નવાં કૌશલ્યો, નવાં ટેકનોલોજિકલ ઉપકરણો શીખતાં રહેવું પડશે. વાસ્તવમાં, કશું નવું શીખવું જ ન પડે સ્થિતિ ખરાબ અને બોરિંગ ગણાય.

આપણે ક્યાંથી કેટલું શીખીએ છીએ? એક અભ્યાસ પ્રમાણે આપણે -

- વાંચીને ૧૦ ટકા શીખીએ છીએ.
- સાંભળીને ૨૦ ટકા શીખીએ છીએ.
- જોઇને ૩૦ ટકા સાંભળીએ છીએ.
- જોઇને અને સાંભળીને ૫૦ ટકા શીખીએ છીએ.
- ચર્ચા કરીને ૭૦ ટકા શીખીએ છીએ.
- અનુભવ કરીને ૮૦ ટકા શીખીએ છીએ.
- બીજાઓને શીખવીને ૯૫ ટકા શીખીએ છીએ.


એક વાતનો જવાબ આપો. તમે જે કોઇ ક્ષેત્રમાં હો, તમારા કામને વધારે અસરકારક બનાવે એવું આજકાલ તમે શું નવું શીખી રહ્યા છો? જો તમારો જવાબ ‘કંઇ નહી’ હશે તો એ સારી નિશાની નથી. યાદ રાખો, નવાં કૌશલ્યો શીખવા માટે તમે કયારેય મોડા નથી, પછી ભલે તમે કરીયરના કોઇ પણ તબક્કે હો. શિખાઉ હોવાની લાગણી સારી છે અને તે થોડા થોડા સમયાંતરે આવતી રહેવી જોઇએ.

નવું શીખવાની કોઇ ઉંમર નથી હોતી

માણસ ચાળીસ કે પચાસ વર્ષ વટાવે પછી ધીમે ધીમે તેને લાગવા માંડે છે કે એની યાદશકિત ઘટી રહી છે. ચશ્માં, ચાવી, પર્સ વગેરે કયાં મૂકયાં છે તે એ ભૂલવા લાગે છે. નવી બાબતો શીખવાની તેની ક્ષમતા પણ જાણે કે ઘટી જાય છે. કોઇ તો વળી એવા ડરથી પીડાવા લાગે છે કે કયાંક આ બધાં અલ્ઝાઇમર્સ (ભૂલવાની બીમારી)નાં પ્રારંભિક લક્ષણો તો નથી ને? (જો તમને પણ આવા વિચાર આવી જતા હોય તો સાંભળી લો કે આ રોગ બહુ ઓછા લોકોને લાગુ પડતો હોય છે.)

યાદ રાખવાની ક્ષમતા વ્યકિતએ-વ્યકિતએ બદલાતી હોય છે. કેટલાક માણસો સિત્તેર કે એંસી વર્ષ વટાવ્યા પછી પણ જુવાનિયાને શરમાવે તેવી યાદશકિત ધરાવતા હોય છે, જયારે કોઇ કોઇને ચાળીસીમાં જ તકલીફ પડવાની શરૂ થઇ જાય છે. મોટપણમાં સામાન્યપણે નવું જ્ઞાન મેળવવામાં કે નવી મેન્ટલ સ્કિલમાં પારંગત થવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે છે. તજજ્ઞો કહે છે કે પચાસ વર્ષ પૂરાં કરી ચૂકેલા અડધોઅડધ લોકોને એજ-રિલેટેડ મેમરી પ્રોબ્લેમ્સ થવા લાગતા હોય છે.

સારા સમાચાર એ છે કે મોટપણમાં યાદશકિત વધારવાના અને એ રીતે નવું શીખવાની ક્ષમતા વધારવાના ઘણા ઉપાયો છે. અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા (આ પણ સ્મૃતિ સંબંધિત બીમારી છે) વિશે થયેલાં સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે ક્રોસ વર્ડ પઝલ કે એના જેવી બીજી રમતો રમવાથી કે દિમાગને કસરત થાય એવાં નવાં કામ શીખવાથી સારું પરિણામ મળે છે.

માણસની શીખવાની પ્રક્રિયાના છેડા એજયુકેશનલ સાઇકોલોજી ઉપરાંત ન્યુરો સાઇકોલોજીને પણ સ્પર્શે છે. દિમાગ માટે ફિઝિકલ એકિટવિટી જરૂરી છે કારણ કે તેનાથી એનો કાર્ડિયોવસ્કયુલર ફ્લો (હૃદય દ્વારા ધકેલાતા લોહીનું વહેણ) જળવાઇ રહે છે. જુદાં જુદાં કામ કરવાથી દિમાગમાં જુદા જુદા વિસ્તારો સક્રિય બને છે, જે ઘણું મહત્ત્વનું છે. દિમાગને દોડાવતા રહેવું પડે એ વાત સાચી, પણ એક હદરેખા પછી દિમાગને તેની ‘ટેવ’ પડી જાય છે. આથી જ નવાં નવાં કામ શીખતાં રહેવું જરૂરી છે. નવું શીખીએ એટલે નવી માહિતી મળે છે;

દિમાગમાં પેદા થતો ડોપામાઇન નામનું રસાયણ નવી ઇમેજીસ, વિચારો અને અનુભવોને વધારે સારી રીતે રિસ્પોન્ડ કરે છે. એકની એક ઇન્ફર્મેશન વારંવાર મમળાવ્યા કરવાને બદલે દિમાગને ‘નવો ખોરાક’ મળે એટલે એની યાદ રાખવાની શકિત વધારે તીવ્ર બને. રોજેરોજ યા તો દર રવિવારે ક્રોસ વર્ડની આડી-ઊભી ચાવીઓ ભરવી એ સારી એકસરસાઇઝ છે. એનાથી નવા શબ્દો કે શબ્દપ્રયોગો શીખવા મળે છે.

આજકાલ સુડોકુની આંકડાબાજી પોપ્યુલર બની રહે છે. આ પણ સાચી કસરત છે. નવી ભાષા શીખો. નવું વાધ શીખો. આજની દોડધામવાળી જિંદગીમાં, અલબત્ત, આવું બધું કરવાનો સમય ન મળે તે સમજાય એવું છે, પણ એનો અર્થ એવો નથી કે કોશિશ ન કરવી! ઉંમરની સાથે શરીરનાં બીજાં અંગોની જેમ મગજના કોષો નિષ્ક્રિય થવા લાગે છે. મગજમાં ‘કોગ્નિટિવ રિઝર્વ’ હોય છે. જો માણસ નવું નવું શીખતો રહીને આ કોગ્નિટિવ રિઝર્વ ઊંચું રાખે તો ડિમેન્શિયા કે એ પ્રકારની બીજી બીમારી થવાની શકયતા ઘણી ઘટી જાય છે.

સામાન્યપણે નક્કર રીતે શીખેલી બાબતો કે સજજડ રીતે એકઠી કરેલી માહિતી આપણો સાથ છોડતી નથી. માણસ વૃદ્ધ થાય તો પણ વાંચવાનું, ગણિત ગણવાનું, રાંધવાનું, સ્કૂટર કે કાર ચલાવવાનું વગેરે ભૂલતો નથી. સામાન્યપણે આ બધાં કૌશલ્યો માણસ એંસીના દાયકામાં પહોંચે ત્યાં સુધી યથાવત્ રહેતાં હોય છે.

વયસ્ક વ્યકિતઓએ આટલી બાબતો ઘ્યાનમાં રાખવી:

- તમે નવી માહિતી મેળવી રહ્યા હો કે નવું શીખી રહ્યા હો ત્યારે પૂરેપૂરા એકાગ્ર રહેવું. તમે જે શીખી રહ્યા છો એનાં મહત્વ વિશે સભાન રહેવું. સમયની સામે તમે મેરયોર બન્યા છો, અનુભવસમૃદ્ધ બન્યા છો. તમે જે કંઇ વાંચી કે સાંભળી રહ્યા હો તેમાં નવા અર્થોજોડતા જાઓ. શા માટે? કારણ કે આપણે નવી વસ્તુઓના અર્થ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે નવી મેમરી ‘ક્રિયેટ’ કરતા હોઇએ છીએ. તમે એકઝેકટ શબ્દ ભૂલી જાઓ તો પણ તમે એ શબ્દ સંબંધિત વિગતોને યાદ કરી શકો અને સરવાળે આખી વાતનો સાર પામી શકો.

- એક સમયે એક જ કામ કરવું. વાંચતા બેઠા હો તો માત્ર વાંચવું, સાથે ખાવાપીવાનું કે ટીવી જોવાનું ન રાખો. લેકચર અટેન્ડ કરતા હો તો ડાયરીમાં ભેગાભેગી નોંધ પણ ટપકાવતા જવું. એક જ વસ્તુ વારંવાર રિફર કરવી. ઘોંઘાટ, ભીડ કે ચિંતા જેવી લાગણીને એક તરફ ધકેલી દેવી. આ રીતે તમારી માનસિક તીવ્રતા વધશે જે યાદશકિતને સુ¼ઢ બનાવવામાં મદદ કરશે.

- નવું શીખી રહ્યા હો એ દિવસોમાં ડાયરી અને પેન કાયમ સાથે રાખવા. વરચે ગમે ત્યારે એ વિષયને લગતાં જે કંઇ વિચાર આવે એ ટપકાવી લો. શીખેલાં નામો, આંકડા, વિગતો, શબ્દો એ બધું વરચે વરચે એમ જ લખતા રહો.

- પ્રેક્ટિસ કરવી તે માત્ર આધેડ અને વૃદ્ધો માટે જ નહીં, વીસ વર્ષના યુવાન માટે પણ મહત્ત્વનું છે, એ યાદ રાખો. રિયાઝ વગર કયારેય કોઇ પારંગત બનતું નથી. જાત પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખો. જે કંઇ શીખ્યા છો તેનું સમયાંતરે રિવિઝન કરતા રહો, વ્યવહારમાં એ અજમાવતા રહો, બીજાઓ સાથે એની ચર્ચા કરતા રહો અને શકય હોય તો પોતે શીખેલું બીજાઓને શીખવો પણ ખરા. આ રીતે એક ટેવ પડતી જશે. એક વસ્તુ શીખી લીધા પછી બીજી વસ્તુ શીખો, પછી ત્રીજી...

હેપી લર્નિંગ...!

આપણે શીખીએ છીએ ત્યારે એક્ઝેકટલી શું થાય છે?

માણસના મગજની એક સૌથી રહસ્યમય અને એટલી જ રસપ્રદ બાબત છે એની શીખવાની અને જે કંઇ શીખેલું છે તેને યાદ રાખવાની ક્ષમતા. આ અંગે ઘણાં સંશોધનો થયાં છે, જેમાંથી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીનો બ્રેઇન સાયન્સ પ્રોગ્રામ (બીએસપી) સૌથી વધારે સ્વીકાર્ય બન્યો છે.

બે નર્વ સેલ્સ યા તો બે જ્ઞાનતંતુ વરચેના સાંધાઓને સિનેપ્સીસ(સ્ન્ક્કઁaષ્ટસ્ન્ફૂસ્ન્) કહે છે. માહિતીનો સંગ્રહ તેમ જ આપ-લે કરવાનું કામ ઘણું કરીને આ સીનેપ્સીસમાં થતું હોય છે. સિનેપ્સીસ એની પાસેથી લેવામાં આવતા કામના આધારે પોતાની અસરકારકતા ઘટાડી કે વધારી શકે છે. આને સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી કહે છે. શીખવાની પ્રક્રિયા અને સ્મૃતિનો સીધો સંબંધ સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી સાથે છે.

નવી માહિતીના સંગ્રહ માટે યા તો ટકી રહેવા માટે સિનેપ્સીસને નવાં પ્રોટીનની જરૂર પડે. એમાંનાં ઘણા પ્રોટીન સિનેપ્સીસમાં એમઆરએનએ (એમ-રિબોઝ ન્યુકિલક એસિડ)ના ટ્રાન્સલેશન થકી પેદા થાય છે. હવે, આ નિર્માણ સેલ-બોડીમાં થાય છે અને પેલા સિનેપ્સીસ સેલ-બોડીથી દૂર હોય છે.

આથી ન્યુરોન પાસે એવા કોઇ રસ્તા હોવા જોઇએ, જેના થકી તે સિનેપ્સીસમાં થઇ રહેલી ગતિવિધિ અનુસાર એમઆરએનએના ટ્રાન્સલેશનને સક્રિય બનાવી શકે. આ પ્રકારના લોકલ ટ્રાન્સલેશનના નિયમન માટેના વિશિષ્ટ મોલેક્યુલર મિકેનિઝમને સાયટોપ્લાઝ્મીક પોલીએડીનાયલેશન કહે છે. આ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને હજુય તેની સંપૂર્ણ સમજ મેળવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યાં છે.

Friday, July 10, 2009



















પ્રાર્થના કઈ રીતે કામ કરે?

Shishir RamavatFriday, July 10, 2009 18:19 [IST]

ભગવાન ખુદ શ્રદ્ધાનો વિષય ગણાતા હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાની તાકાતને તર્ક કે વિજ્ઞાન વડે માપી શકાય ખરી? શ્રદ્ધા અને વિજ્ઞાન અમુક બિંદુએ એકબીજાને સ્પર્શ્યા ત્યારે કેવાં રસપ્રદ પરિણામો મળ્યાં?


‘મૈંતો ચલા ગયા થા... લૌટ આયા હૂં તો બસ, આપકી દુઆઓં સે!’
આમ તો આ અમિતાભ બરચનની ‘કૂલી’ ફિલ્મનો ડાયલોગ છે પણ એમાં એમના દિલની વાત પણ સમાયેલી છે. બહુ જાણીતી વાત છે કે ‘કૂલી’ ફિલ્મના શૂટિંગમાં એક ફાઇટ સિકવન્સ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આખા દેશની પ્રજાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

એક તરફ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ લાખો ચાહકો તેઓ સાજાસારા થઇ જાય એ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા હતા. આખરે અમિતાભ પરથી જોખમ ટળ્યું અને જોતજાતાંમાં તેઓ હણહણતા અશ્વ જેવા થઇ ગયા.

અમિતાભે પછી તો પોતાના કેટલાય ઇન્ટરવ્યુઝમાં જીવનની આ નવી ઇનિંગ્સ માટે માત્ર મેડિકલ સાયન્સને જ નહીં, પણ તેમના ચાહકોએ કરેલી પ્રાર્થનાઓની શકિતને પણ કારણભૂત ગણાવી.

પ્રાર્થનાની શકિત

શું તમે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો એટલે ઇશ્વર તેનો જવાબ આપે, તેવું બને? કહે છે ને કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, શું એમને ભકિતનો આહાર મળે એટલે બદલામાં તેઓ ભકતને પણ તૃપ્ત કરે જ? આ આખી વાત આમ તો શ્રદ્ધાની છે.

સવાલ એ છે કે ભગવાનના અસ્તિત્વનો મુદ્દો સ્વયં શ્રદ્ધાની ધરી પર ઝૂલતો હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાના બળને તે વળી તર્ક વડે શી રીતે સમજાવી શકાય? પ્રાર્થનાની શકિતનો વિષય પણ સંપૂર્ણપણે શ્રદ્ધાની જ વાત છે અને તેને વિજ્ઞાનના પરિઘથી દૂર જ રાખવાનો હોય એવું તમે કહેવાના હો તો સાંભળી લો કે આ એવો વિષય છે.

જેમાં મેડિકલ સાયન્સને પણ ખૂબ રસ પડ્યો છે. પ્રાર્થના એટલે સાવ સાદી ભાષામાં, ઇશ્વર યા તો પરમશકિત સાથે થતું કમ્યુનિકેશન. હિંદુ ધર્મમાં પ્રાર્થના કીર્તન, ભજન, આરતી, મંત્ર જેવાં અનેક સ્વરૂપોમાં થાય છે. સંસ્કòત મંત્રોનું મૂળ આપણા વેદોમાં છે. વેદ ઇશ્વરીય વાણી છે અને તે અનાદિ ગણાય છે. મંત્રોમાં ઘ્વનિ અને સાચાં ઉરચારણનું ખૂબ મહત્ત્વ છે.

‘ઓમ્’નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે. બાઇબલ કહે છે: ‘શરૂઆતમાં માત્ર શબ્દ હતો. આ શબ્દ ઇશ્વર પાસે હતો અને શબ્દ જ ઇશ્વર હતો.’ આધુનિક વેદિક ફિલોસોફરો બાઇબલના આ કથનનું અર્થઘટન કરતા કહે છે કે બાઇબલ ‘ઓમ્’ની જ વાત કરે છે. ઓમ્ સૌથી શકિતશાળી મંત્ર છે.

મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે? રોજ સવારે પંદર મિનિટ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અનેક શ્રદ્ધાળુઓને શારીરિક તેમ આઘ્યાત્મિક સ્તરે ફાયદો થયો છે(અહીં ‘શ્રદ્ધાળુ’ શબ્દ નીચે કાલ્પનિક અન્ડરલાઇન કરો). આવાં ઘણાં દ્રષ્ટાંતો છે.

અંદાઝ અપના અપના

પ્રાર્થના કેટલી બધી રીતે થઇ શકે - ઊભા ઊભા, બેસીને, ઘૂંટણિયે પડીને, ભોંય પર સાષ્ટાંગ કરીને, ખુલ્લી આંખે, બંધ આંખે, હાથ જોડીને, અદબ વાળીને, હાથ. ઊંચા રાખીને, બીજાઓના હાથ પકડીને વગેરે. અમેરિકાના રેડ ઇન્ડિયન્સ નાચીને પ્રાર્થના કરે છે.

પ્રાર્થના ચોપડીમાંથી વાંચીને કરી શકાય, સ્મૃતિના આધારે કરી શકાય, એકદમ ઉત્સ્ફૂર્તપણે કરી શકાય, સંગીત સાથે કે સંગીત વગર કરી શકાય અને એક પણ શબ્દ બોલ્યા વગર સંપૂર્ણપણે મૌન જાળવીને પણ કરી શકાય. કબાલા તરીકે ઓળખાતા યહૂદી મિસ્ટિસીઝમના આરાધકો માને છે કે પ્રાર્થનાના એકએક અક્ષરનો નિશ્ચિત સ્પર્શ અને નિશ્ચિત અસર હોય છે.

પ્રાર્થનાથી આ બ્રહ્માંડની ગેબી શકિતઓ પર અચૂકપણે અસર થાય છે. બૌદ્ધધર્મીઓ માટે મેડિટેશન યા તો ઘ્યાન મુખ્ય છે. પ્રાર્થનાને તેઓ સેકન્ડરી, બહુ બહુ તો ઘ્યાન માટેની સપોર્ટિવ પ્રેકિટસ ગણે છે.

સ્તુતિ ઇશ્વરને, લાભ શરીરને

હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. હબર્ટ બેન્સને ત્રીસ કરતાંય વધારે વર્ષોસુધી પ્રાર્થનાની શકિતનો અભ્યાસ કરવામાં ગાળ્યાં છે. ખાસ કરીને તેમણે મેડિટેશન-કે જેને પ્રાર્થનાનું બૌદ્ધ સ્વરૂપ કહી શકાય - તેના પર વિશેષ ભાર મૂક્યો. ‘મારે એ સમજવું હતું કે શરીર પર મનની શી અને કેવી અસર થાય છે.’

ડો. બેન્સન કહે છે, ‘તમે ગમે તે ધર્મ પાળતા હો, ગમે તે સ્વરૂપમાં પ્રાર્થના કરતા હો પણ આ બધામાં એક વાત કોમન છે. પ્રાર્થના કરવાથી તન-મન રિલેકસ થાય છે અને તેના લીધે માનસિક તાણ ઘટે છે, શરીર શાંત થાય છે તેમ જ હીલિંગ પ્રોસેસ (સાજા થવાની પ્રક્રિયા) ઝડપી બને છે. પ્રાર્થનામાં એક જ પ્રકારના શબ્દોનું કે ઘ્વનિનું વારેવારે પુનરાવર્તન થતું હોય છે. પ્રાર્થનાની હીલિંગ ઇફેકટ આ પુનરાવર્તન પ્રક્રિયામાં સમાયેલી છે.’

માણસ શાંત ચિત્તે પ્રાર્થના યા તો ઘ્યાન કરતો હોય ત્યારે તેનામાં થતા શારીરિક ફેરફાર ડો. બેન્સને એમઆરઆઇ બ્રેઇન સ્કેન દ્વારા નોંઘ્યા. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકો પણ આ વિષયમાં રિસર્ચ કરી રહ્યા હતા. બન્નેનાં તારણો પરથી મગજની સંકુલ ક્રિયા-પ્રક્રિયા વિશે જાણકારી મળી.

માણસ એકાગ્ર થઇને પ્રભુઘ્યાનમાં (યા તો બીજી કોઇ પણ બાબતમાં) વધુને વધુ ઊંડો ઊતરતો જાય એટલે મગજની પેરિયેટલ લોબ સર્કિટ્સ (perietal lobe circuits)માં તીવ્ર ગતિવિધિઓની શરૂઆત થઇ જાય. પોતાની જાત અને આસપાસની દુનિયા વરચે રહેલા ભેદને પારખવાનું કામ આ પેરિયેટલ લોબ સર્કિટ્સ કરે છે.

આ જ વખતે આત્મસભાનતા પેદા કરતા ફ્રન્ટલ અને ટેમ્પોરલ લોબ (frontal and temporal lobe) સર્કિટ્સ નિષ્ક્રિય બની જાય છે. પરિણામે માઇન્ડ અને બોડી વરચેના ભેદ ઓગળવા માંડે છે. દરમિયાન લિમ્બિક સિસ્ટમ સક્રિય થઇ જાય છે.

આ સિસ્ટમ રિલેકસેશનનું નિયમન કરે છે અને સરવાળે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમ, હૃદયના ધબકારા, બ્લડપ્રેશર વગેરે પર કંટ્રોલિંગ કરે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે શરીર વધારે રિલેકસ્ડ ફીલ કરે છે, તેમ જ શરીરની ફિઝિયોલોજિકલ એકિટવિટી વધારે સુરેખ, વધારે સ્મૂધ બને છે.

તો શું આનો અર્થ એવો થયો કે આ પરમશકિત સાથે સંવાદ કરવાનો પ્રતાપ છે? શું આપણાં શરીર-મનની રચના જ એવી રીતે થઇ છે કે પ્રભુની પ્રાર્થના કરવાથી આપણા પર એની પોઝિટિવ અસર થાય? ‘વેલ, આ પ્રકારનું અર્થઘટન કરવું કે નહીં તે સૌની સંપૂર્ણપણે અંગત બાબત છે,’ ડો. બેન્સન કહે છે, ‘જો તમે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હો તો આને પ્રભુની કૃપા સમજી લો. જો તમે નાસ્તિક હો તો આને દિમાગનો ખેલ ગણો.’

અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા મેડિસિન એન્ડ સકાયેટ્રી પ્રોફેસર ડો. હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થના એટલે માત્ર અમુક શબ્દોનું એકધારું પુનરોરચારણ અને એનો ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ, એટલું જ નહીં. કોઇંગે ‘હેન્ડબૂક ઓફ રિલિજન’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે પ્રાર્થનાની સ્વાસ્થ્ય પર થતી અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે.

આ સ્ટડી પરથી ફલિત થાય છે કે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા માણસો પ્રમાણમાં વધારે સ્વસ્થ જીવન જીવે છે. ‘નાસ્તિકોની સરખામણીમાં આસ્તિકોમાં ધૂમ્રપાન કરનારા અને ઢીંચીને ડ્રાઇવ કરનારાનું પ્રમાણ ઓછું હોય છે.’ ડો. કોઇંગ કહે છે. ઇન ફેક્ટ ડયુક, ડાર્ટમાઉથ અને યેલ યુનિવર્સિટીઓના અભ્યાસ પ્રમાણે તો પ્રભુપ્રાર્થના કરતા લોકો નાસ્તિકોની તુલનામાં ઓછા બીમાર પડે છે! નીચેનાં તારણો ઇન્ટરેસ્ટિંગ છે:

- નિયમિત ચર્ચમાં જનારા લોકોની સરખામણીમાં કયારેય ન ગયેલા લોકો દવાખાનાભેગા થાય ત્યારે તેમણે સરેરાશ ત્રણગણું વધારે રહેવું પડે છે.
- નાસ્તિક લોકો હાર્ટ સર્જરી દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના ૧૪ ગણી વધારે હોય છે.
- ચર્ચમાં નિયમિત જનારાઓની સરખામણીમાં નાસ્તિક લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ લગભગ બમણું હોય છે.
- ઇઝરાયલમાં કાર્ડિયવિસ્કયુલર બીમારીઓ અને કેન્સરના લીધે મૃત્યુ પામેલાઓમાં ધાર્મિક લોકોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઓછું હતું.કોઇંગ ઉમેરે છે, ‘ધાર્મિક લોકો પ્રમાણમાં ઓછા ડિપ્રેસ્ડ થાય છે. ડિપ્રેશન આવી પડે તો પણ તેઓ એમાંથી ઝડપથી બહાર આવી જાય છે.

તબિયત અને જીવનની ગુણવત્તા પર આ બાબતની ખૂબ અસર થતી હોય છે. જુઓ, કોઇ ડોકટર દર્દીને ટ્રીટમેન્ટ આપતી વખતે ધાર્મિક બનવાનું પ્રિસ્ક્રિપ્શન નહીં આપે. પેશન્ટને એમ ન કહી શકાય કે તમારે અઠવાડિયામાં બે વખત મંદિર કે મસ્જિદ કે ચર્ચમાં જવાનું.

હા, અમે ડોકટરો દર્દીની આઘ્યાત્મિક જરૂરિયાત શી છે તે જરૂર જાણી શકીએ અને તે પ્રમાણે એને વાંચવાની ચોપડીઓ વગેરે આપી શકીએ.’ ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ક્રુચોફે ‘મંત્ર’ નામનો પ્રોજેકટ સંભાળ્યો હતો. ‘મંત્ર’ એટલે મોનિટરિંગ એન્ડ એકયુલાઇઝેશન ઓફ નોએટિક ટીચિંગ્સ.

આ નોએટિક ટીચિંગ્સ એટલે પૂરક થેરાપી, જેમાં ન દવા-ઓસડિયાં હોય કે ન મસાજ-એકયુપ્રેશર જેવું કશુંય હોય. દેખીતું છે કે આ બધાને કારણે જાતજાતના સવાલો ઊભા થયા વગર ન રહે. ‘સાચું છે’, ડો. ક્રુચોફ કહે છે, ‘સ્ટાન્ડર્ડ હાઇટેક ટ્રીટમેન્ટમાં આઘ્યાત્મિક બળ ઉમેરાય તો એનાથી દર્દી ખરેખર જલદી સાજો થાય? એને ઓછી દવાની જરૂર પડે? ઓછી પીડા ભોગવવી પડે? - આવા બધા સવાલો તો ઊભા થવાના જ.’

મંગળ કામનાનો મંગળ પ્રભાવ

પ્રાર્થનાના હીલિંગ પાવરની વાત આવે ત્યારે ‘ડિસ્ટન્ટ પ્રેયર’ અથવા ‘ઇન્ટરસેસરી પ્રેયર’નો ઉલ્લેખ પણ થતો હોય છે. અમેરિકાના કેન્સાસ શહેરની એક હોસ્પિટલમાં ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો હતો. હૃદયરોગથી પીડાતા અને હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા. એક જૂથના દર્દીઓ એવા હતા જેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી. આને ‘ઇન્ટરસેસરી પ્રેયર’ કહેવામાં આવે છે.

મજાની વાત એ હતી કે આમાંના એક પણ દર્દીને કહેવામાં આવ્યું ન હતું કે તમારા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ પ્રાર્થનાઓ સ્થાનિક ચર્ચ સાથે સંકળાયેલા વોલેન્ટિયરોએ કરી હતી. તેમને એક કાગળ પર દર્દીઓનાં નામ લખીને કહેવામાં આવેલું: આ બધા ઓછા દુખી થાય અને ઝડપથી રિકવર થાય તે માટે પ્રાર્થના કરો.

આ પ્રયોગનું તારણ શું આવ્યું? જે પાંચસો દર્દીઓ માટે ઇન્ટરસેસરી પ્રાર્થના કરવામાં આવી હતી તેમને ૧૧ ટકા ઓછાં કોમ્િપ્લકેશન્સ થયાં હતાં. એક આખા વર્ષ દરમિયાન કુલ ૯૯૦ દર્દીઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરવામાં આવેલા. સ્ટાન્ડર્ડ કોરોનરી કેર સ્કોરિંગ સિસ્ટમ વડે પ્રેયર અને નોન-પ્રેયર ગ્રુપનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ, જેમના માટે પ્રાર્થના કરવામાં નહોતી આવી તે દર્દીઓ કરતાં ઝડપથી સાજા થયા હતા. અલબત્ત, એવું નહોતું કે પ્રેયર ગ્રુપને હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હોય.

આવું કેમ બન્યું? શું આ પ્રાર્થનાનો ચમત્કાર હતો? રિસર્ચ ટીમ કહે છે કે પ્રેયર ગ્રુપ અને નોન-પ્રેયર ગ્રુપ વરચે દેખાયેલા આ તફાવતને તાર્કિક રીતે સમજાવી શકાય તેમ નથી. રિસર્ચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ‘અમે કંઇ ભગવાન પ્રાર્થનાનો જવાબ આપે છે યા તો ઇશ્વરનું અસ્તિત્વ છે એવું સાબિત કર્યું નથી.

આ પ્રયોગમાં ઇશ્વરના અસ્તિત્વની નહીં, ઇન્ટરસેસરી પ્રેયરની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રયોગના પરિણામને તર્ક વડે સમજાવી શકાય તેમ નથી.’ અહીં મહત્ત્વનો સવાલ એ ઊઠે છે કે તર્કસંગત ન હોય તેવા અખતરાનો કશો અર્થ ખરો?

શ્રદ્ધાનો હો વિષય, તો પુરાવાની શી જરૂર

વૈજ્ઞાનિકો કહે છે કે દર્દીઓને ઓલરેડી ખબર હોય કે કોઇ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે તો શકય છે કે આ વાતની દર્દી પર મનોવૈજ્ઞાનિક સ્તરે પોઝિટિવ અસર થાય અને તેના લીધે તેઓ ઝડપથી સાજા થાય. બાકી આ રીતે દર્દીઓ માટે ગુપચુપ કરી લેવામાં આવતી પ્રાર્થનાની તેમના પર સારી અસર શી રીતે થાય તે સમજાય એવું નથી.

ઇન્ટરસેસરી પ્રેયરને લગતા ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે, પણ સૌનાં તારણ વત્તેઓછે અંશે આ જ રીતે અસ્પષ્ટ રહ્યાં છે. વળી, લ્યુકેમિયાના દર્દીઓ તેમ જ એન્કઝાયટી(બેચેની) અને ડિપ્રેશન (નોંધપાત્ર હતાશા)થી પીડાતા દર્દીઓ પર ઇન્ટરસેસરી પ્રાર્થનાની નોંધપાત્ર અસર નોંધાઇ નહોતી. બીજી બાજુ એઇડ્સના દર્દીઓ પર તેની સારી અસર થઇ હોવાનું જાણવામાં આવ્યું...

પણ પ્રાર્થનાથી અમુક રોગના દર્દીઓ પર સારી અસર થાય અને અમુક બીમારીથી પીડાતા દર્દીઓ પર અસર ન થાય એવું કેમ? વેલ, આ સવાલનો પણ કોઇ તાર્કિક જવાબ નથી!

સો વાતની એક વાત. પ્રાર્થનાની શકિતને માપવાની પળોજણમાં બહુ પડવા જેવું નથી. પ્રાર્થના જો શ્રદ્ધાનો ઇલાકો ગણાતો હોય તો શું શ્રદ્ધા ખુદ અત્યંત શકિતશાળી જીવનબળ નથી? પથ્થર પર ત્રણ આડા લીટા તાણી દેવાથી જો એ શિવલિંગ બની જતું હોય તો ભકતોની શ્રદ્ધા તે પથ્થરમાં શંકર ભગવાનના આત્માનું આરોપણ કેમ ન કરી શકે?

જો તમને પ્રાર્થના કરવાથી સારું લાગતું હોય તો બીજી કોઇ લપછપમાં પડયા વગર પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. પ્રાર્થનાને કારણે જો માનસિક રીતે રાહત રહેતી હોય અને ટકી રહેવાનું બળ મળતું હોય તો એના કરતાં ચઢિયાતી વાત બીજી કઇ હોવાની?

Monday, July 6, 2009

સાચી લાઈન તો જીવન ફાઈન








સાચી લાઈન તો જીવન ફાઈન

Jayesh Adhyaru, AhmedabadMonday,
July 06, 2009 19:10 [IST]
















કઈ લાઈન લેવી? આ સવાલનો જવાબ જો વિધાર્થીનાં રસ-રુચિને બદલે તેને મળેલા ટકાના આધારે લેવામાં આવે તો ઘણી વાર વિધાર્થી ભયાનક માનસિક યાતનાનો ભોગ બને છે અને તેની આજીવન વાટ લાગી જતી હોય છે. આ ભયંકર ભૂલથી બચવા શું કરવું? ભેખડે ભરાઈ પડ્યા પછી છૂટવું કઈ રીતે?

‘તમારી બોર્ડની પરીક્ષાને આજથી માત્ર ૫૫૩ દિવસ બાકી છે. એટલે કે સાત વિષય સાથે ભાગાકાર કરીએ તો એક વિષય માટે માત્ર ૭૯ દિવસ. આમાં પ્રેકિટકલના કલાસ અને એની તૈયારીનો સમય તો ગણ્યો જ નથી. સમય બહુ ઓછો છે. દોડવા માંડો, નહીં તો કોઇ ચાન્સ નથી...’

સોળ વર્ષના ટીનેજરોના પેટમાં તેલ રેડાય એવો આ ખોફનાક ડાયલોગ સાયન્સના ધોરણ-૧૨ ટયૂશનના પહેલા જ દિવસે એક વિધાર્થી તરીકે ખુદ આ લખનારે સાંભળ્યો છે. અગિયારમા ધોરણને ‘પાની કમ ચાય’ સમજીને ઓફિશિયલી બારમું ધોરણ શરૂ થાય, એના નવ મહિના પહેલા, એટલે કે ખરેખરી બોર્ડની પરીક્ષાને સત્તરેક મહિના બાકી હોય ત્યારથી જ બારમાનાં ટ્યૂશન શરૂ થઇ જાય.

પછી ભયંકર ગોખણપટ્ટી, ચિક્કાર ખર્ચ, રાતના ઉજાગરા અને એવી બીજી અનેક યાતનાઓ બાદ બારમું પતે, વેકેશન પડે અને છેવટે પરિણામ આવે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો સિત્તેરથી એંસી-પંરયાસીની ટકાવારીવાળા વિધાર્થીઓ અને ખાસ તો પેરેન્ટ્સ એ વાતે થોડા હતાશ હોય છે કે હવે મેરિટલિસ્ટમાં નંબર પાછળ જશે એટલે પસંદગીના સ્ટ્રીમમાં અને પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવું અઘરું બનશે.

અહીં હજારો રૂપિયાનાં આંધણ કરીને પેપર ખોલાવવાની પણ દોડધામ થાય. રખેને પાંચ-પરચીસ માકર્સ વધી જાય, તો જે મેરિટમાં એટલો નંબર આગળ આવ્યો! અખબારોનાં પાને ચમકેલા ‘તેજસ્વી તારલા’ઓને તો બહુ ટેન્શન હોતું નથી, પરંતુ પિસ્તાળીસ-પચાસથી સિત્તેર ટકાવાળાઓની હાલત જબરી કફોડી હોય છે. ‘હું તો સોએ સો માકર્સનું લખીને આવી હતી તોય મને બેતાળીસ માકર્સ જ આવ્યા..’ પ્રકારનાં વાકયોથી પેરેન્ટ્સને ‘ટાઢા’ પાડવાના પ્રયાસ ચાલતા હોય.

‘બિચારા’ની વ્યાખ્યામાં આવતા આવા વિધાર્થીઓને ન તો કોઇ પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન મળે છે અને સાયન્સ કોલેજમાં એડમિશન મેળવતાં તો હાંફ ચડી જાય છે. નાપાસ થયેલા કેટલાય વિધાર્થીઓ અખબારોનાં પાને ચડે છે, કયા કારણોસર એ આપણે જાણીએ છીએ. થોડા મહિનાઓના વિલંબ બાદ, જયારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોય ત્યારે આવે એડમિશન પ્રોસેસની ઋતુ. ગુજરાતમાં સામાન્ય રીતે આખા રાજ્યનાં વિધાર્થીઓ (પ્રવેશાર્થીઓ) અને એમનાં વિહ્વળ માતા-પિતાઓ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી જેએસીપીસી (જોઇન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ)ના મેદાનમાં એકઠાં થાય. કોઇ મોટો એજયુકેશન ફેર જોઇ લો.

મોં પર ટેન્શન, ફી ભરવા માટે ખિસ્સાંમાં હજારો રૂપિયા અને સામાનના થેલા લઇને આમથી તેમ ભટકતાં-કૂટાતાં હોય. મેદાનમાં ‘એજયુકેશન લોન’ આપનારી બેંકોના કર્મચારીઓ પણ બેનર્સ લગાવીને કામે લાગી ગયા હોય. આખરે એડમિશન પ્રક્રિયા ચાલુ થાય છે.

ભારે ધક્કામુક્કી, અંધાધૂંધી અને સુરક્ષા કર્મચારીઓની બદ્તમીઝી બાદ અમુક મેરિટના નંબરોના જથ્થાને વન બાય વન અંદર મોકલવામાં આવે. અધકચરી સમજાય એવી કાગઝી કારવાઇ પતાવ્યા બાદ વિધાથી પ્લસ તેના એક સગાંને કહેવાતા ‘કાઉન્સેલિંગ’ માટે કમ્પ્યુટરની સામે બેસાડવામાં આવે. ઉપલબ્ધ કોલેજ અને એન્જિનિયરિંગ (કે મેડિસિન) સ્ટ્રીમના વિકલ્પો પ્રમાણે માંડ પાંચ-સાત મિનિટમાં કારકિર્દીના આ અતિ મહત્ત્વના નિર્ણય પર મત્તું મરાઇ જાય.

‘લાઈન’માં પણ તેજી-મંદી

હાથમાં બ્લેડ લાગીને ધોરી નસ કપાઇ ગઇ હોય એવા દર્દની વાત એ છે કે ઘણા બધા વિધાર્થીઓ એન્જિનિયરિંગની પાંચ-સાત પ્રચલિત શાખાઓ સિવાય કોઇના નામને બાદ કરતાં, એમાં શું ભણવાનું આવે, એ ભણ્યા પછી કયાં કેવા પ્રકારની નોકરી મળે, એમાં શું કરવાનું હોય... વગેરે કોઇ જ માહિતી વિના એના પર પસંદગી ઉતારતા હોય છે. ગણપતિ દૂધ પીએ કે શિવલિંગમાં ત્રિશૂળ દેખાય ત્યારે જેવો માસ હિસ્ટિરિયા પેદા થાય કંઇક એવાં જ ગાંડપણથી એડમિશનનો કોઇ ચોક્કસ ટ્રેન્ડ ફોલો થાય.

મતલબ કે કોઇ ભેદી સાઇકોલોજીથી અમુક વર્ષે અમુક સ્ટ્રીમમાં પ્રવેશનો ધસારો અચાનક વધી જાય. જાણે શેરની કોઈ સ્ક્રીપમાં ઓચિંતો ઉછાળો આવે તેમ. અમુક કોલેજોનું મેરિટ ઊંચું જાય. ઘણા ઉત્સાહી માતા-પિતાઓ તો વળી, ગયા વર્ષના એડમિશન કટ ઓફ માકર્સના પ્રિન્ટ આઉટ્સ લઇને ફરતાં હોય અને પોતાનો વારો આવે એ પહેલાં એનું એનાલિસિસ કરતાં હોય. પરંતુ મોટે ભાગે આસપાસના વાતાવરણમાંથી એટલે કે અન્ય અજાણ્યા વાલીઓ કે વિધાર્થીઓ સાથેની ઊભડક ચર્ચાને આધારે જ સ્ટ્રીમ કે કોલેજ નક્કી થઇ જતાં હોય છે.

અનુભવે જોયું છે કે એન્જિનિયરિંગ, અમુક અંશે મેડિકલ અને ખાસ કરીને મેનેજમેન્ટ (એમ.બી.એ.)ના એડમિશનમાં દર વખતે કોલેજોના લિસ્ટમાં એકાદ-બે નવાં નામ તો ઉમેરાઇ જ ગયાં હોય. જે ગામના નામ સિવાય ભાગ્યે જ કશું સાંભળ્યું હોય. એ ગામમાં રાતોરાત ઊભી થઇ ગયેલી અને ઘણીવાર મંજૂરીની રાહ જોતી કોલેજમાં દોઢેક દિવસમાં તો એડમિશન ફુલ થઇ ગયાં હોય! ગ્રેટ!

દિલ ક્યા ચાહતા હૈ?

‘ભણીગણીને નોકરી કરવાની, ને ઘર વસાવો, બચ્ચાં-કચ્ચાં-માતા-પિતાને સાચવો. વર્ષોથી આમ જ તો થતું આવ્યું છે. સત્તર-વીસ વર્ષનાં છોકરાંવને કઇ લાઇન લેવી એની શું ખબર પડે?’વાલીઓના મોઢેથી સંભળાતો આ એક કોમન ડાયલોગ છે. મનોવિજ્ઞાનનો સાદો નિયમ છે, વ્યકિતને તેનું ગમતું કામ મળે, તો એમાં એ ખીલે, પોતાની પૂરેપૂરી પ્રતિભા અને ક્ષમતા કામે લગાડી શકે. અને જો ન ગમતું કામ માથે મારવામાં આવે તો એ સંકોચાઈ જાય, ચીમળાઈ જાય. કોઇ વિધાર્થીને બારમાના સાયન્સમાં ૯૨ ટકા આવ્યા હોય.

પરંતુ લોહી જોઇને ચક્કર આવતા હોય તો એ મેડિકલમાં જઈને શું કાંદો કાઢવાનો; એન્જિનિયરિંગમાં પ્રવેશ મળતો હોય, પણ જાતજાતના વાયર જોઇને કે મશીનો સાથે માથાં ફોડી કરવામાં ભેજાંનાં સ્ક્રૂ ઢીલાં થઇ જતાં હોય, તો એ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી શું ઉકાળે! તરત સામી દલીલ થશે, ‘ભઇ, આ બધું ચિંતનાત્મક લેખો લખવામાં સારું લાગે. બાકી, હજારો વિધાર્થીઓ ડા"કટર-એન્જિનિયરિંગનું ભણીને અત્યારે સુખી છે જ ને.’

લાખો રૂપિયા ખર્ચીને ભણવાને આપણે ત્યાં જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, એનું એકાદ ટકા મહત્ત્વ પણ વિધાર્થીનાં રસ-રુચિ જાણીને તેની પસંદગીની કે તેને અનુરૂપ કારકિર્દીમાં મોકલવાને આપવામાં આવતું નથી. અગિયારમાં ધોરણથી કયા સ્ટ્રીમમાં જવું કે બારમા ધોરણ પછી કઇ લાઇન લેવી એ બધા માટેના મોટા ભાગના નિર્ણયો કાં તો મમ્મી-પપ્પા કરતાં હોય અથવા તો વિધાર્થી પોતે પોતાના મિત્રોને અનુસરીને લઇ લેતાં હોય છે.

‘કરિયર કાઉન્સેલિંગ’ કે ‘એપ્ટિટ્યૂડ ટેસ્ટ’ એ કઇ ચીડિયાનું નામ છે, એ વાલીઓ અને વિધાર્થીઓ ખાસ જાણતા નથી તે મોટી કરુણતા છે. ખુદ વિધાર્થીઓને પણ કશી ગતાગમ હોતી નથી (જે હોવી જોઇએ જ), તો પછી તેઓ ખુદની પસંદ-નાપસંદનું એનાલિસિસ શી રીતે કરી શકે? કરિયર કાઉન્સેલિંગ કરાવતી વખતે પણ સાવચેતી રાખવા જેવી છે. કાઉન્સેલિંગ સેન્ટર કોઇ સંસ્થા કે કોઇ કોર્સની તૈયારી કરાવતાં કલાસિસ સાથે જોડાયેલા હોય, તો એ તમને સાવ સાચું

ચિત્ર આપી શકે તેમ છે ખરું?

ગમે તે વિધાર્થીને ફેશનમાં રહેલા ‘મલાઇદાર’ કોર્સ-ફિલ્ડમાં નાખી દેવાની માનસિકતાને કારણે વિધાર્થીઓ પછી એકથી બીજા કોર્સમાં ગોથાં ખાધા કરે છે. બી.ઇ. કરીને એમબીએ કરે અને એ પછી બેંકિંગ સેકટરમાં આવી ગયા હોય, તો બી.ઇ. કરવાનો કોઇ અર્થ ખરો? પહેલાં એક ક્ષેત્રનું ભણીને પછી પોતાની અંદરના અવાજને અનુસરીને કોઇ બીજા જ ક્ષેત્રમાં આવી ગયા હોય, એવા હર્ષ ભોગલે (કોમેન્ટેટર, મૂળ એમબીએ), શંકર મહાદેવન, અનિલ કુંબલે (અનુક્રમે સંગીતકાર-ગાયક અને ક્રિકેટર, મૂળ એન્જિનિયર), પલાશ સેન (ગાયક-સંગીતકાર, મૂળ તબીબી ડોકટર), સમિત બાસુ (લેખક, મૂળ એમબીએ), શેખર કપૂર (નિર્માતા-નિર્દેશક, મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) લોકોની યાદી પાર વિનાની લાંબી છે.

આઇએએસ હોય કે આંત્રપ્રેન્યોરશિપ, દરેક ક્ષેત્રમાં આવાં ઉદાહરણો જોવા મળે જ છે. જો બધા લોકો બધાં કામ માટે જ સર્જાયેલા હોત, તો કારકિર્દીની ખોટી બસમાં ચડી ગયેલા કેટલાક સંવેદનશીલ યુવાનો આત્મહત્યા શા માટે કરતાં હોત? રિટેલ ચેઇન ‘બિગ બજાર’ના કિશોર બિયાણીનો એક સરસ કવોટ છે: ‘આપણે આ પૃથ્વી પર બહુ થોડા સમય માટે આવ્યા છીએ અને આ સમય દરમિયાન આપણે આપણા પસંદગીના કામમાં જ ટાઇમ પસાર કરવાનો છે’.

કોઇ કોર્સમાં કે કોઇ લાઇનમાં જતાં પહેલાં એ વિશેની પૂર્વતૈયારી-હોમ વર્ક કરતા વિધાર્થીઓની સંખ્યા ઝાઝી નથી. અમદાવાદસ્થિત ‘ટ્રાઇટન’ કોમ્યુનિકેશન્સ નામની એડવર્ટાઇઝિંગ એજન્સીના ગ્રુપ ડાયરેકટર તેમ જ બે દાયકાથી વિવિધ મેનેજમેન્ટ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા જતા સંજોય ચક્રવર્તી કહે છે, ‘મારી પાસે એમબીએ કોલેજોમાંથી એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ માટે કે જોબ માટે ઘણા વિધાર્થીઓ આવતા હોય છે. એમને પૂછીએ કે તમે એડવર્ટાઇઝિંગના ક્ષેત્રમાં શા માટે આવવા માગો છો, તો કહેશે, ‘મને એવું લાગે છે કે હું આ ક્ષેત્ર માટે જ સર્જાયેલો(કે સર્જાયેલી) છું.

એડવર્ટાઇઝિંગ ઇઝ માય કોલિંગ.’ પરંતુ એમને બે-પાંચ એડ એજન્સીના નામ કે સફળ એડ કેમ્પેઇન વિશે પૂછો તો કશું જ ખબર ન હોય. હવે જે ક્ષેત્રમાં તમે જવા માગતા હો, તમે જે ક્ષેત્ર માટે સર્જાયેલા હોવાનો દાવો કરતાં હો, એની તમને એબીસી પણ ખબર ન હોય તો ત્યાં તમને કોઇ શા માટે લે?’ જર્નાલિઝમ ઇન્સ્ટિટયૂટ્સમાંથી દર વર્ષે ઘણા વિધાર્થીઓ અખબારોની ઓફિસોમાં ઇન્ટર્નશિપ માટે આવતા હોય છે.

એમને પૂછો કે તમે કયા અખબાર વાંચો છો? ફલાણા અખબાર વિશે તમે શું જાણો છો? તમારા મનપસંદ લેખકો-પુસ્તકો કયા છે? પત્રકારત્વ વિશે શું જાણો છો? માનો યા ન માનો, પણ લગભગ એકેય સવાલનો સંતોષકારક જવાબ તેઓ આપી શકતા નથી. મોટે ભાગે તો એમને કોઇ વાતની ગંભીરતા હોતી જ નથી. આવા યુવાનો પાછળ કોઇ શા માટે પાંચ સેકન્ડ પણ બગાડે?

તો શું કરવું?

તમે જે કોર્સમાં જોડાયા છો, જોડાવા ઇરછો છો, એ ક્ષેત્રના ફિલ્ડની એટલે કે માર્કેટની પરિસ્થિતિ શું છે? એ ફિલ્ડ એ ક્ષેત્ર કેવી કવોલિટીઝની અપેક્ષાઓ રાખે છે? એ અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા-સજજતા તમારામાં છે? આ ફિલ્ડમાં ઓલરેડી કામ કરતા લોકોથી તમે કઇ રીતે ડિફરન્ટ છું? આ ક્ષેત્રના પ્લસ-માઇનસ પોઇન્ટ્સ કયા શું છે?વૈચારિક સ્તરે સ્પષ્ટ થવા માટે એ ક્ષેત્રમાં ઠીક ઠીક વર્ષોથી કામ કરતી વ્યકિતઓને મળો અને એમની પાસેથી ફસ્ર્ટ હેન્ડ માહિતી મેળવો.

દા.ત. સિવિલ સર્વિસિઝની પરીક્ષા આપીને કલેકટર કે આઇપીએસ અધિકારી બનવું છે, તો તમારા ગામના કલેકટર-ડેપ્યુટી કલેકટર-આઇપીએસ અધિકારીને મળો. એમબીએ કરવું છે? માર્કેટિંગમાં, ફાઇનાન્સમાં કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય તો કેવા પ્રકારની જોબ કરવાની આવે? આ બધી જ વિગતો અત્યારે ફિલ્ડમાં કાર્યરત અનુભવી વ્યકિતઓ પાસેથી મેળવો. પત્રકારત્વમાં આવવું છે? કોઇ પ્રતિષ્ઠિત અખબારના વરિષ્ઠ પત્રકારને મળો. ફેશન ડિઝાઇનિંગમાં આગળ વધવું છે? ખ્યાતનામ ફેશન ડિઝાઇનરનો સંપર્ક સાધો. આવી વ્યકિતઓને તમને

મૂંઝવતા બધા જ પ્રશ્નો પૂછો?

રોન્ડા બર્નના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ સિક્રેટ’માં સરસ વાત કહેવાઇ છે: જો તમે કોઇ વસ્તુ મેળવવાનો અત્યંત તીવ્રતાથી-પૂરેપૂરી સજજતાથી-પ્રામાણિકતાથી પ્રયાસ કરશો, તો એ વસ્તુ અપાવવા માટે આખું બ્રહ્માંડ તમને મદદ કરશે. આવો જ કંઇક ડાયલોગ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાન પણ બોલે છે. ભારે મહેનતથી કારકિર્દીમાં આગળ વધેલા લોકો નમ્ર હોય છે અને તેમને પોતાના ક્ષેત્રમાં આવવા ઇરછતા ઉત્સાહી યુવાનો સાથે વાત કરવી ગમતી હોય છે.

એમના જ્ઞાન-અનુભવનો લાભ તમે શા માટે ન લો?

આપણાં રસ-રુચિ પ્રમાણે આપણું ફિલ્ડ નક્કી કરી આપતી એપ્ટિટયૂડ ટેસ્ટ્સથી લઇને લગભગ બધી જ માહિતી ઇન્ટરનેટ પરથી મળી શકે છે. આ વખતે સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં પાસ થયેલા હોનહાર ગુજરાતી વિધાર્થીઓમાંથી કેટલાકે કબૂલ્યું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘ઓર્કુટ’ પર સિવિલ સર્વિસિઝને લગતી કોમ્યુનિટીઝમાંથી એમને કેટલાક પાસ-આઉટ્સ પાસેથી ખરેખર ઉપયોગી એવું માર્ગદર્શન મળ્યું હતું. દેશ-વિદેશની બોગસ યુનિવર્સિટીઓથી લઇને કેમ્બ્રિજ, એમઆઇટી કે હાર્વર્ડથી લઇને આઇઆઇએમ-આઇઆઇટી જેવી સંસ્થાઓ ઇ-મેઇલથી પૂછેલાં પ્રશ્નોનો વ્યવસ્થિત જવાબ આપે જ છે, સવાલ માત્ર પ્રયત્ન કરી જોવાનો છે.

ખોટી કરિયરમાં આવી ગયા છો?

થોડા સમય પહેલા નોકરી અપાવવામાં મદદ કરતી એક સાઇટની સરસ જાહેરખબર આવતી. શાસ્ત્રીય નૃત્ય કરતી એક યુવતી એર ટ્રાફિક કંટ્રોલિંગ કરતી હોય, એક ક્રિકેટર બેટ લઇને ધોબીઘાટ પર કપડાં ધોતો હોય, પ્લેનમાં સ્ટુઅર્ડની જગ્યાએ એક ફંકી ડી.જે. હોય... મતલબ કે, ખોટા કરિયરમાં ફસાઇ ગયા હોય એવું લાગતું હોય, તો આવો, અમે તમને સાચો રસ્તો બતાવીશું. ટિંગટોંગ! ગ્લોબલાઇઝેશન અને પ્રોફેશનલ કોર્સિસનો યુગ આવ્યા પછી, કંપનીઓમાં એટિ્રશન રેટ (એક નોકરીમાંથી બીજી નોકરી પર કૂદાકૂદ કરવાનો ટ્રેન્ડ) ભયાનક રીતે વઘ્યો છે.

એક જ નોકરીમાં ત્રીસ-પાંત્રીસ વર્ષ કાઢી નાખનારાં વડીલોને અત્યારના યુવાનિયાંવ હસી કાઢે છે. અત્યારે તો નોકરીમાં સહેજ વાંધો પડે કે ધર્યું રાજીનામું. એક વર્ષમાં ત્રણેક નોકરીઓ બદલી નાખનારા યુવાનો શોધવા માટે કપાળે હાથની છાજલી બનાવવી પડે એવું છે જ નહીં. એક પછી એક નોકરીનું ચલકચલાણું રમ્યા પછી સ્થિતિ એવી આવે કે યુવાનને લાગવા માંડે કે યાર, આપણે તો ખોટા ફિલ્ડમાં ભરાઇ પડ્યા!

નિષ્ણાતો કહે છે, નોકરીમાં વાંધા પડે એટલે રાજીનામું ધરવાની ઉતાવળ કરતાં પહેલાં એ શોધો કે ખરેખર પ્રોબ્લેમ કયાં છે? કયારેક એવું થાય કે જોબ બરાબર હોય, કામ પણ ગમતું હોય, પરંતુ બોસ કકળાટિયા હોય. સાથે કામ કરતાં લોકો ખટપટિયા હોય, અરે, પૂરતાં કમ્પ્યુટર્સ ન હોય કે ઇન્ટરનેટ કનેકશન ન હોય કે ટાર્ગેટનું પ્રેશર હોય, તો પણ યંગસ્ટર્સ રાજીનામું ધરી દે છે. આવા કિસ્સાઓમાં તો આપણો એટિટયૂડ જ બદલવો રહ્યો. કેમ કે, નવી નોકરીમાં પણ

આવું નહીં હોય એની કઇ ખાતરી?

આપણી જાતને સવાલ પૂછીને નક્કી કરવું જોઇએ કે આપણે વાંધો કોની સામે છે: ફિલ્ડ, કામ કે સંસ્થા સામે, કે બોસ કે કલિગ્સ સામે? આપણો પ્રશ્ન ઇન્ટર્નલ છે કે એકસર્નલ? જો નોકરી બદલવી જ પડે એમ હોય, તો નોકરી બદલો, ક્ષેત્ર નહીં. એમ કરતાં પહેલાં પણ શકય હોય, તો એક અનુભવી વિશ્વાસપાત્ર વ્યકિત પાસેથી ખરેખર સાચી સલાહ લઇ લો. બાકી ઓછી મહેનતે, ભરપૂર સેલેરી અને પ્રતિષ્ઠા આપતી જોબ શોધાવાની હજી બાકી છે! તમારી જાત પર વિશ્વાસ કરો. તમારી કવા"લિટીઝ વિકસાવતા રહો. નવું નવું શીખતા રહો.

લેટેસ્ટ જ્ઞાન મેળવતા રહો. મિલ્ટપ્લેકસમાં મુવી જોવાનું કેન્સલ રાખીને કે કોઇ પાર્ટી કેન્સલ કરીને પણ સારી બાયોગ્રાફીઝ ખરીદવામાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. પોતાના ક્ષેત્રમાં આગળ વધેલાં ધાંસૂ લોકોની બાયોગ્રાફીઝ વાંચતા રહો. તમારી જાતને એવી ઊંચાઇએ લઇ જવા પ્રયત્નશીલ રહો કે તે ક્ષેત્રમાં તમારો કોઇ વિકલ્પ જ ન હોય. અને જો, તમારાં કામ પ્રત્યે ખરેખર પેશન ધરાવતા હશો, તો સૌરવ ગાંગુલીએ એક ટોક શોમાં કહેલું એમ, કોઇ વ્યકિત તમારા ટેલેન્ટને વધુ સમય સુધી રોકી શકશે નહીં.

Sunday, July 5, 2009

ઇવીએમ મશીનથી પણ મતદાનમાં પક્ષપાત થઇ શકે - પ્રત્યેક પાંચમો મત કોઇ પક્ષે નાખી શકાય








ઇવીએમ મશીનથી પણ મતદાનમાં પક્ષપાત થઇ શકે
Hemant Atri, New Delhi
Monday, July 06, 2009 00:33 [IST]

પ્રત્યેક પાંચમો મત કોઇ પક્ષે નાખી શકાય : દિલ્હીના માજી મુખ્ય સચિવનો દાવો
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યસચિવ અને આઇટી સ્નાતક ઓમેશ સહગલે ભારતયી ચૂંટણીઓમાં વપરાઇ રહેલાં ઇલેકટ્રોનિક વોટિંગ મશીન( ઇવીએમ)ના પ્રોગ્રામિંગ સામે આંગળી ચીંધતાં સમસ્ત ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે સવાલ સર્જી દીધો છે.

સહગલે દાવાપૂર્વક જણાવ્યું છે ઇવીએમ મશીનની રચના એવી છે કે એક ગુપ્ત કોડભર્યા બાદ તેમાં નખાનારો પ્રત્યેક પાંચમો મત એક ખાસ ઉમેદવારના પક્ષે જતો કરી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરે સહગલની ફરિયાદ સંદર્ભમાં અભ્યાસ કરવાની જવાબદારી નાયબ ચૂંટણી કમિશનર આર. બાલકષ્ણને સોંપી છે.

ભાસ્કર સાથેની વાતચીતમાં સહગલે જણાવ્યું હતું કે તેમણે પોતાની ફરિયાદની નકલ બાલાકષ્ણનને મોકલી આપી છે અને તેઓ પંચ અને આઇટી નિષ્ણાતો સમક્ષ પોતે કરેલી રજૂઆતને સાબિત કરી શકે તેમ છે. પંચે વર્તમાનમાં તો પોતાના એક અધિકારીને પ્રશ્નના અભ્યસની જવાબદારી જ સોંપી છે.

નાયબ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ જણાવ્યું હતું કે ઇવીએમ મશીનનું સોફટવેર આઇઆઇટી ચેન્નાઇના ભૂતપૂર્વ પ્રોફેસર ડો. ઇન્દ્રેસનના નેતૃત્વ હેઠળની સમિતિ દ્વારા અનુમોદિત છે અને સહગલ પોતાની વાત સાબિત કરવામાં સફળ રહે છે તો પંચ આ સંદર્ભમાં તપાસની જવાબદારી પણ ડો. ઇન્દ્રેસનના નેતૃત્વ હેઠળની સમિતિને જ સોંપશે.

Friday, July 3, 2009

સારી આદતો માટે શરમ ન અનુભવો








સારી આદતો માટે શરમ ન અનુભવો
Jivan DarshanSaturday, July 04, 2009 00:11 [IST]


















ખોટી વાતોનો વિરોધ હાજરજવાબીથી પણ કરી શકાય છે. આવું કરવાથી બિનજરૂરી તણાવ પેદા થતો અટકાવી શકાય છે અને સામેવાળી વ્યકિતને કશું કહેવા-કરવાનું બાકી રહેતું નથી.


જયોર્જ બર્નાર્ડ શો પોતાના જમાનાના પ્રખ્યાત સાહિત્યકાર અને નાટયકાર હતા. પ્રસિદ્ધિની ટોચે હોવા છતાં તેમનામાં જરા પણ અહંકાર નહોતો અને તેમની રહેણીકરણી પણ સામાન્ય હતી. આવા સરળ સ્વભાવને કારણે જ તેઓ લોકો વરચે ખૂબ લોકપ્રિય હતા અને દરેક વર્ગના લોકો તેમને મળવા માટે આવતા હતા. એક દિવસ એક વ્યકિત બર્નાર્ડ શોને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપવા આવી.

શોએ તેમનું આમંત્રણ તો સ્વીકારી લીધું, સાથે સાથે કહી દીધું કે પોતે શાકાહારી છે અને તેઓ જો તેમના માટે શાકાહારની વ્યવસ્થા કરી શકશે તો જ તેઓ તેમના ઘરે જમવા આવી શકશે. બર્નાર્ડ શો બીજા દિવસે પેલાના ઘરે જમવા પહોંચ્યા. તેમણે ટેબલ પર રાખેલું સલાડ ખાવા માંડયું. ત્યારે માંસાહારનો સ્વાદ લેનારો એક માણસ તેમના પર હસવા માંડયો. શોએ તેના તરફ ઇશારો કરીને હસવાનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું જનાબ, મુર્ગા ખાવ મુર્ગા. આ ઘાસફુસ શું ખાઈ રહ્યા છો.

શોએ હસતાં હસતાં તત્કાળ કહ્યું, ભાઈસાહેબ, આ મારું પેટ છે, કોઈ કબ્રસ્તાન નથી કે હું તેમાં મરેલી ચીજો દફન કરતો રહું. આ સાંભળી પેલો માણસ છોભીલો પડી ગયો.

જયોર્જ બર્નાર્ડ શોનો આ પ્રસંગ સંકેત કરે છે કે તમે તમારી સારી આદતો માટે કયારેય શરમ અનુભવો નહીં અને સામેવાળાને વિવેક ગુમાવ્યા વિના યોગ્ય ઉત્તર આપવાનું પણ ચૂકો નહીં. ઘણી વાર ખોટી વાતોનો વિરોધ વિવાદને બદલે હાજરજવાબીથી પણ કરી શકાય છે. આવું કરવાથી બિનજરૂરી તણાવ પેદા થતો અટકાવી શકાય છે અને સામેવાળી વ્યકિતને કશું કહેવા-કરવાનું બાકી રહેતું નથી.

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory